ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી કરવામાં આવી છે. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર એને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માત્ર ફાયર સેફ્ટીની અમલવારી અને BU એટલેકે બિલ્ડીંગ યુઝ પરમિશન વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ કર્યો કે, કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક ઉંચી બિલ્ડીંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર અને કોર્પોરેશને લાંબા અને ટૂંકા ગાળાના આયોજન તથા ફાયર સેફ્ટીની અમલવારી બાબતે ટાઈમલાઈન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી. કોર્ટે આદેશ કર્યો કે, ઉંચી બિલ્ડીંગ કે જ્યાં બિલ્ડીંગ યુઝ અને ફાયર સેફ્ટીનો અમલ ન થતો હોય તેવી બિલ્ડીંગને સીલ કરો. કોર્ટેએ વાતનો ઉલ્લેખ કર્યો કે તેમનો ઉદ્દેશ લોકોનો જીવ બચાવવાનો છે લોકોને હેરાનગતિ કરવાનો નથી.
ગુજરાત હાઈકોર્ટે આ દરમિયાન ભૂતકાળમાં હોસ્પિટલમાં બનેલી આગની દુર્ઘટના જીવ ગુમાવનારા અને ૨૮ નવેમ્બરના રોજ અમદાવાદના સોલામાં આવેલા ગણેશ મેરેડિયનમા લાગેલી આગની ઘટનાની પણ નોંધ લીધી હતી. તેની સાથે સાથે કોર્ટે એ પણ નોંધ્યું કે આગની ઘટનાઓમાં કોઈ જીવ ન ગુમાવે તે બાબતની તકેદારી રાખવાની જરૂર છે. આ ઉપરાંત હાઈકોર્ટે હજુ સખત કાર્યવાહી કરી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ઇમારતોની માહિતી કોર્ટ સમક્ષ રજુ કરવા પણ કહ્યું છે