જામનગર શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી-4 માં રહેતા અને જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાની 17 વર્ષની પુત્રી પ્રતીક્ષાબાએ બુધવારે સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો, તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ બનાવની જાણ થતાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવની જાણ થતાં સિટી બી પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તરુણી ધો.12 કોસર્સમાં અભ્યાસ કરતી હોઈ, પરીક્ષામાં નાપાસ થઇ હતી. આથી પિતાએ “પરીક્ષામાં કેમ નાપાસ થઇ” એમ કહેતાં લાગી આવતાં આપઘાત કરી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પરીક્ષામાં નાપાસ થતાં રાજકીય આગેવાનની પુત્રીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં શહેરભરમાં અરેરાટી પ્રસરી છે.