રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષા લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની ધરપકડ થતા દિલ્લીથી આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેઓએ સમગ્ર ઘટના મામલે માહિતી મેળવી આગળની રણનીતિ માટે આપના અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી છે. આપના નેતાઓની ધરપકડ મામલે બે દિવસમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. આજે બપોરે ગુલાબસિંહ યાદવ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ કરી આગામી રણનીતિ વિશે માહિતી આપશે.
આ મામલે પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.