અમદાવાદમાં “બ્લેક સ્પોટ” ની સંખ્યા વધી : 3 વર્ષમાં અકસ્માતથી 25 લોકોનાં મોત

અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા ટ્રાફિક અને અનિયંત્રિત પાર્કિંગ સૌથી મોટી સમસ્યા છે. શહેરમાં રોજ અકસ્માતના બનાવો બને છે. આ સમયે અકસ્માતના બનાવોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વારંવાર અક્સ્માત થતા હોય એવાં ૩૪ સ્થળને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયાં હતાં. હવે શહેરનાં વધુ ૬ નવાં સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયાં છે. શહેરમાં નવા જાહેર કરાયેલ બ્લેક સ્પોટમાં જ છેલ્લાં ૩ વર્ષમાં ૫૩ જીવલેણ અકસ્માતોમાં ૨૫ લોકોનાં મોત થયાં છે.

બ્લેક સ્પોટમાં ૬ સ્થળના વધારા સાથે અમદાવાદમાં અકસ્માતની સંભાવનાવાળા બ્લેક સ્પોટની સંખ્યા હવે વધીને ૪૦ થઇ ગઇ છે. અમદાવાદમાં અકસ્માતના બનાવો વધે નહીં એ માટે અસરકારક પગલાં ભરવા રોડ સેફટી કમિટીએ જે-તે વિભાગને આદેશ કર્યો છે. અમદાવાદ ડિસ્ટ્રિકટ રોડ સેફટી કમિટીની બેઠક તાજેતરમાં અમદાવાદ આરટીઓની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

આ બેઠકમાં આરએન્ડ બી, આરટીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, સ્ટેટ હાઇવે ઓથોરિટી, ટ્રાફિક પોલીસ વિભાગના અગ્રણીઓએ હાજર રહીને રોડ સેફટીને લઇને વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. એમાં અમદાવાદ શહેરના રખિયાલ ચાર રસ્તા, બાપુનગર ચાર રસ્તા, કામદાર મેદાન સારંગપુર, અદાણી સર્કલ રામોલ ટોલ પ્લાઝા, મણિનગર રેલવે સ્ટેશન અને અડાલજ કટને બ્લેક સ્પોટ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેર અને જિલ્લાના મળીને કુલ ૩૪ બ્લેક સ્પોટ પર અકસ્માત ઘટાડવા માટે માટે કામગીરી કરાઇ છે. ઉપરાંત નવા જાહેર કરાયેલા ૬ બ્લેક સ્પોટ પર અક્સ્માતના કેસો ઘટે એ માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ મુલાકાત લઇને જરુરી કામગીરી કરવા કમિટીના અધ્યક્ષ આર.જી દેસાઇએ આદેશ કર્યો છે. એટલે કમિટીના સભ્યો આગામી સમયમાં નવા બ્લેક સ્પોટ ઉપર જઇને યોગ્ય કાર્યવાહી કરશે. આમ, અમદાવાદમાં સંભવિત અકસ્માતનાં સ્થળો એવા બ્લેક સ્પોટમાં વધારો થયો તે હાલ તો ચિંતાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *