સુરતની સચીન GIDCમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે વહેલી સવારે કેમીકલ ટેન્કરમાંથી ઝેરી ગેસ લીકેજ થતાં 6 શ્રમિકોના મોત થયા હતા. આ ઘટનામાં 22થી વધુ શ્રમિકોને ઝેરી કેમિકલ ગેસની અસર થતાં આ શ્રમિકો ગૂંગળાયા હતા. આ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ઝેરી કેમિકલ ટેન્કરમાં લીકેઝને કારણે આ ઘટના બની હતી.
ઝેરી કેમિકલ ટેન્કરમાં લીકેઝ થવાથી બનેલી આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ગૂંગળામણથી બિમાર પડેલા તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર ખસેડ્યા હતા. આ શ્રમિકોમાંથી કેટલાને ગંભીર અસર થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કેઃ ‘સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.’