મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ મંત્રીમંડળની બેઠકમાં અનેક વિકાસલક્ષી કાર્યો અંગે લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અનેક વિકાસલક્ષી કાર્યો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે બાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે માહિતી આપી હતી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે છે કે, રાજ્યની વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહે અને જનસુખાકારીના લાભો નાગરિકોને સત્વરે મળે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ અનેકવિધ વિકાસકામો હાથ ધરાઇ રહ્યા છે.

ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, કોરોનાનાં કપરાકાળમાં પણ રાજ્ય સરકારની અસરકારક કામગીરીનાં પરિણામે વિકાસયાત્રાને અટકવા દીધી નથી. રાજ્યમાં આવેલ 1600 કિ.મી.ના દરિયાકાંઠાના નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે 135 કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. જેમાં ખાસ કરીને ભાવનગર-સૌરાષ્ટ્ર તરફના ટ્રાફિક અત્યારે બોરસદ, તારાપુર, વટામણ ચોકડી, ધોલેરા થઈને ભાવનગર જાય છે તેના સ્થાને ખંભાત, કામતલાવ, આંબલી, પાટીયા સુધીની નવી લિંક બનાવાશે. જેનાથી ભાવનગર-સૌરાષ્ટ્ર જતો ટ્રાફિક વટામણ ચોકડી સુધી જવાના બદલે આ નવી લિંકનો ઉપયોગ કરીને જશે જેનાથી 70 થી 80 કિ.મી. અંતર ઘટશે. આ કોસ્ટલ હાઇવે નિર્માણ થશે તેમાં ભીલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતનાં દરિયાકિનારાને સાંકળીને બનાવાશે. આ કોસ્ટલ હાઇવેના નિર્માણ માટે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના સાંસદઓ, ધારાસભ્યઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો થતાં આ મહત્વનો નિર્ણય કરાયો છે.

ડાંગના પ્રખ્યાત શબરીધામને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જોડવા માટે અંદાજે રૂ.1,670 કરોડના ખર્ચે અંદાજિત 218 કિ.મી.નો નવો કોરિડોર વિકસાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં હયાત રસ્તાને પહોળા કરીને તેમજ મીસીંગ લિંકમાં નવા રસ્તા બનાવવાનું આયોજન છે. જે સાપુતારા-શબરીધામ-સોનગઢ-ઉકાઇ-દેવમોગરા-માથાસર-ઝરવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડશે. જેના પરિણામે સહેલાણીઓને ટુરિસ્ટ સર્કિટમાં જોડવાનો પ્રયાસ છે.

હાલમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો નર્મદા નદી પરનો હયાત પુલ ભરૂચ ખાતે કાર્યરત છે, જેનો મોટાભાગનાં વાહનો ઉપયોગ કરે છે. નર્મદા નદી પર આવેલ યાત્રાધામ માલસર ખાતે નવા પુલની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત રૂ.300 કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરીડોર નિર્માણ કરવામાં આવશે. જેનો લાભ દક્ષિણ ગુજરાતની તાપી, સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જતાં વાહનો કે અત્યારે નેશનલ હાઇવે પર વાયા સુરત/ચીખલી જવાને બદલે આ રસ્તાનો ઉપયોગ કરીને ઝડપથી પોતાના ગંતવ્યસ્થાને પહોંચી શકાશે. તેમજ સાપુતારા પ્રવાસન સ્થળનો પણ લોકો લાભ લઇ શકશે. નેશનલ હાઇવે-8 પર ખાસ કરીને વડોદરા-સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેણ ખાતે અંદાજે રૂ. 27 કરોડના ખર્ચે એક નવો પુલ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે વધુ 1000 નવી બસો ખરીદવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે જેમાં ગ્રામ્ય રૂટ માટે બાવન બેઠકની ક્ષમતા ધરાવતી AIS-052 નોર્મ્સ વાળી આકર્ષક લુક વાળી કુલ 500 સુપર એક્સપ્રેસ બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત બેઠક દીઠ મોબાઇલ ચાર્જર, રીડિંગ લાઇટ, બોટલ હોલ્ડર, મેગેઝિન પાઉચની આધુનિક સગવડ ધરાવતી 2×2 ની 41 બેઠકોવાળી 300 લક્ઝરી બસો ફાળવવામાં આવશે. જ્યારે રાત્રિ મુસાફરી કરનાર વર્ગને ધ્યાને રાખીને AIS-119 નોર્મ્સ મુજબની આકર્ષક લુકવાળી 200 સ્લીપર કોચ બસો મળી ગુજરાતમાં કુલ 1000 બસો ફાળવવામાં આવશે.

રાજ્યનાં નાગરિકોએ વ્યક્તિગત કામો તથા સામૂહિક વિકાસના કામો સત્વરે પુરા પાડવા માટે આગામી અંદાજપત્ર તૈયાર કરવા મુખ્યમંત્રી દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે ત્યારે આ મુજબનું બજેટ તૈયાર કરવા સમગ્ર વહીવટીતંત્રને સૂચનાઓ આપી દેવાઇ છે. નાણામંત્રીના અધ્યક્ષસ્થાને અંદાજપત્ર તૈયાર કરવા માટે બેઠકોનું પણ આયોજન થઇ રહ્યુ છે. જેમાં લાંબાગાળાનાં તથા ટૂંકાગાળાના કામો આયોજિત કરવા પર ભાર મૂકાશે. રાજ્યનાં અર્થતંત્રને વેગવાન બનાવવા માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અત્યાર સુધીમાં જે MOU થયા છે તે તમામ પ્રોજેક્ટો સત્વરે કાર્યાન્વિત થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરાશે. ગુજરાત એક પોલીસી ડ્રિવન્સ સ્ટેટ છે ત્યારે, ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી નવી પોલીસીઓ બને એ માટે પણ સઘન આયોજન હાથ ધર્યું છે. મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ ઉપર નિયંત્રણ માટે કોર કમિટિની બેઠક યોજવામાં આવે છે. રાજ્યમાં કોરોના સામે લડવા જરૂરી સાધનોનો ચકાસણી, તપાસ તેમજ કોરોનાની સ્થિતિમાં આરોગ્ય અને વેપાર-ઉધોગોને નૂકસાન ન થાય અને ગુજરાતની વિકાસયાત્રા સતત આગળ વધતી રહે  તેવી મુખ્યમંત્રી દ્વારા કલેક્ટરઓ અને ડી.ડી.ઓને સૂચનાઓ આપવામાં આવી છે. કોરોનામાં લોકોને વ્યક્તિગત લાભો અને સરકારી યોજનાઓના લાભો સતત મળતા રહે તેમજ વિકાસ કામો અટકે નહીં તેવી તાકીદ પણ મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને કરી છે. હાલમાં ચાલી રહેલા સેવાસેતુ કાર્યક્રમમાં 40 લાખ અરજીઓમાંથી 99.99 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું છે છે કે, સુરતમાં બનેલી ઝેરી કેમિકલની દુ્ર્ઘટના બાબતે મુખ્યમંત્રીએ GPCB અને પોલીસના આ ઘટનામાં સંકળાયેલા સબંધિત અધિકારીઓ સામે કડક હાથે કામ લેવાની તેમજ ઓધોગિક શહેરોમાં કેમિકલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થાય અને આ પ્રકારની ઘટના ફરી ન બને તેવી પણ સંબંધિતોને કડક તાકીદ કરી છે. ઊર્જા વિભાગ હેઠળના GUVNL હસ્તકની જેટકો કંપની દ્વારા તાજેતરમાં લેવાયેલી ઇજનેરોની પરીક્ષા સંદર્ભે ગેરરીતિના જે આક્ષેપો થયા છે તે સંદર્ભે મુખ્યમંત્રીએ GUVNLના MDના અધ્યક્ષસ્થાને કમિટિ રચીને પ્રાથમિક તપાસ શરૂ કરી દેવાઇ છે. આ તપાસના અહેવાલો મુખ્યમંત્રીને સુપ્રત કર્યા બાદ તેમાં સંડોવાયેલા તમામ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *