ભારત-બાંગ્લાદેશ સરહદ પર BSF દ્વારા અત્યાધુનિક તારબંધી…

પશ્ચિમ બંગાળને અડીને આવેલી ભારત-બાંગ્લાદેશ સરહદ પર આધુનિક તારબંધી કરવામાં આવી રહી છે. આ સરહદ પર BSF એવા તાર લગાવડાવી રહ્યું છે જેને કાપી પણ નહીં શકાય અને તેના પર ચઢી પણ નહીં શકાય.

સીમા સુરક્ષા બળના આઈજી અજય સિંહે જણાવ્યું કે, વર્તમાન ફેન્સિંગ ખૂબ જ જૂની છે. તેના બદલે નવી મજબૂત ફેન્સિંગ કરવામાં આવી રહી છે. આશરે ૨૦ કિમીના વિસ્તારમાં અત્યાધુનિક તારબંધી કરી દેવાઈ છે.  આ ફેન્સિંગ સસ્તી પણ છે અને ઘણા લાંબા સમય સુધી ચાલી શકે તેમ પણ છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘૂસણખોરી એ એક મોટી સમસ્યા છે. આ સરહદેથી તસ્કરી અને ગેરકાયદેસર રીતે અવર-જવર રોકવા BSF ખૂબ જ મહેનત કરી રહ્યું છે. આ કારણે જ સરહદે અત્યાધુનિક તાર લગાવવામાં આવી રહી છે. ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી, તસ્કરી અને આતંકવાદી ગતિવિધિઓ પર નજર રાખવા માટે BSF અનેક તકનીકોનો ઉપયોગ કરી રહ્યું છે. આ તકનીકમાં એન્ટી ટનલ સોલ્યુશન, આઈઈડી શોધી કાઢવા અને ગાઢ ધુમ્મસમાં સરહદની ચોકસાઈ માટેના ઉપકરણોનો સમાવેશ થાય છે.બોર્ડર સર્વિલાંસ માટે હવે ઓછા ખર્ચાળ અને સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

BSF માં વ્યાપક સંકલિત બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ (સીઆઈબીએમએસ)ની ટ્રાયલ શરૂ થઈ હતી. ૩-૪ વર્ષ પહેલા આ તકનીકી સિસ્ટમ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે લગાવવામાં આવી રહી છે. તેનો મોટો ફાયદો એ છે કે, તેની મદદથી ખરાબ હવામાન, ધુમ્મસ અને બરફવર્ષા દરમિયાન પણ વ્યક્તિ, પશુ-પક્ષી અને અન્ય કોઈ ઉપકરણની તસવીર બિલકુલ સ્પષ્ટ દેખાય છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *