અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન : ઘણા લોકોના જીવ બચ્યા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચોવીસ કલાક એટલે કે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ત્રણ અંગદાન થયા છે. દેશની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રણ અંગદાન કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર હોસ્પિટલ બની છે.

ચોવીક કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓનું અંગદાન સૂચક છે કે સમાજમાં અને રાજ્યમાં હવે અંગદાન પ્રત્યે લોકજાગૃતિ વધી છે. લોકોએ પોતે જ અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાની જવાબદારી પોતાના શિરે સ્વીકારી લીધી છે.

ચોવીસ કલાકમાં થયેલ ત્રણ અંગદાનની વિગત જોઇએ તો ૧૯ વર્ષના મહેમદાવાદના રહેવાસી ભાવિનભાઇ પરમાર બ્રેઇનડેડ થતા તેમની બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે. ૬૫ વર્ષના જ્યોત્સનાબેન પારેખ કે જેઓ ગાંધીનગરના રહેવાસી હતા. શારિરીક અસ્વસ્થતાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. તેમના અંગોના રીટ્રાઇવલમાં બંને કિડની અને લીવરનું દાન મળ્યું. વિરમગામમાં રહેતા ૪૦ વર્ષના ભાવનાબેન ઠાકોરને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ પણ બ્રેઇનડેડ થતા તેમના બંને કિડની અને લીવરનું દાન મળ્યું છે.

ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગદાનમાં મળેલી ૬ કિડની અને ૩ લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે.

બ્રેઇનડેડ ભાવિનભાઇ પરમાર, ભાવનાબેન ઠાકોર અને જ્યોત્સનાબેન પારેખના અંગદાનની પ્રત્યેની નિષ્ઠા બિરદાવવા યોગ્ય છે. આ ત્રણેય અંગદાતાઓના અંગદાનથી રાજ્ય અને દેશના જરૂરિયાતમંદોના જીવનમાં સ્મિત રેલાયું છે.

આમ, સિવિલ હોસ્પિટલમાં 14 મહિનામાં 39 બ્રેઇનડેડ અંગદાતાઓના કરેલા અંગદાન થી 119 અંગો મળ્યા. જેમાં 33 લીવર, 59 કિડની, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 4 જોડ હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ તમામ અંગોએ 103 જરૂરિયાતમંદોના જીવનમાં ઉજાસ પાથર્યો છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અંગદાન ક્ષેત્રની અવિસ્મરણીય સિધ્ધી બદલ વીડિયો સંદેશના માધ્યમથી રાજ્યના State Organ And Tissue Transplant Organisation ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ્ન્ટ ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ અંગદાનની પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખજીના અથાગ પરિશ્રમ અને કામગીરીને બિરદાવી હતી.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ આ અદ્વિતીય સિધ્ધિને અત્યાર સુધીના 39 અંગદાતાઓ અને તેમના પરિવારજનોને સમર્પિત કરી હતી. લોકજાગૃતિના પરિણામે જ આજે અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *