ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યની દાદાગીરી

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રશ્નનો યોગ્ય ઉત્તર નહીં મળતા બેઠક છોડી નીચે બેસી જતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલ્યા કે, આવી દાદાગીરી ના ચલાવી લેવાય, ગૃહમંત્રીના આવા ઉચ્ચારણો સાથે કૉંગ્રેસના સભ્યો ઉભા થઈ હોબાળો માચાવવા લાગ્યા હતા, જેની સામે ભાજપે પણ ગૃહમાં હંગામો મચાવી દીધો હતો, કૉંગ્રેસના સભ્યએ મંત્રીઓ સામે હાથ કરી અપશબ્દ બોલતા જ બધા મંત્રીઓ ઉશ્કેરાઈ ગયા હતા, ગૃહની કામગીરી ખોરંભે પડી ગઈ હતી, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કરતા, અધ્યક્ષે શબ્દો પાછા ખેંચવા કહ્યું હતું, અંતે પુંજાભાઈ વંશે શબ્દ પાછા ખેંચી, કહ્યું હતું કે, ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ એમની ભાષા પણ શોભે એવી નથી.અંતમાં અધ્યક્ષ નીમાબેન આચાર્ય એ મામલો શાંત પાડી દીધો હતો.આજે જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ તથા ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કરાશે.

આજે કોંગ્રેસના આક્રમક વલણ વચ્ચે વિધાનસભા ગૃહમાં ત્રીજા દિવસની કામગીરી સવારે ૧૦ વાગ્યે શરૂ થશે. સત્રમાં ગુજરાત જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સીટી સુધારા વિધેયક એમ ૨ સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. બીજી તરફ સરકાર ઓનલાઈન ગેમ્બલિંગ અને ડ્રોન પોલિસી અંગેના વિધેયક પણ પસાર કરી શકે છે. બીજી બાજુ રખડતાં ઢોર અંગેનો કાયદાનો ડ્રાફ્ટ તૈયાર હોવાથી તે પણ વિધાનસભા ગૃહમાં પારિત કરવામાં આવી શકે છે.

વિધાનસભાના ગૃહના બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ કોંગ્રેસે રાજ્યપાલને સંબોધન કરવા દીધું નહીં. રાજ્યપાલે સંબોધન હાથ ધરતા કોંગ્રેસે ‘ગૃહ મંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતા રાજ્યપાલે ૫ મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું. રાજ્યપાલ જતા રહ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યો કથિત આઈપીએસ ખંડણીકાંડ બહાર લાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના સન્માનમાં ઊભા થઈ ગયા હતા અને કોંગ્રેસના ધારાસભ્યોએ તેમને અભિનંદન આપ્યાં હતાં.

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આણંદ અને કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોનો કેટલો જથ્થો પકડાયો, કેટલા ઇસમો પકડાયા અને કેટલા બાકી અને તે અંગે કેવી કાર્યવાહી કરવામાં આવી તે પ્રશ્નમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી મુંદ્રા બંદર ઉપરથી પકડાયેલા ૨૧ હજાર કરોડના ડ્રગ્સમાં શું કાર્યવાહી કરી એવો સવાલ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમણે અદાણી પોર્ટે સુરક્ષાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા અને સુરક્ષાની જવાબદારી અંગે ભારત સરકારની સુરક્ષા એજન્સીઓ ઉપર જવાબદારી ઢોળી દીધી છે ત્યારે આ જ પોર્ટ ઉપર અગાઉ પણ અંદાજીત પોણા બે લાખ કરોડનુ ડ્રગ ઉતારીને દેશભરમાં વેચી દીધાની આશંકા વચ્ચે સરકાર કેમ ઊંઘતી રહી એવો વેધક સવાલ ઉઠાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *