ઓસ્ટ્રેલિયાના લિજેન્ડ સ્પિનર શેન વોર્નનું ૪ માર્ચના દિવસે નિધન થયું હતું. જેના પરિણામે ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. જોકે થાઈલેન્ડ પોલીસે વોર્નના મોતનું કારણ શોધવા માટે તપાસ આદરી હતી. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પોલીસે જણાવ્યું છે કે શેન વોર્નનું જે રૂમમાં નિધન થયું હતું એ રૂમ આખો લોહીથી લથપથ હતો. જોકે હજુ સુધી આટલી તપાસ હાથ ધર્યા પછી પણ પોલીસને શેન વોર્નની મોત પાછળનું ચોક્કસ કારણ મળી શક્યું નથી.
શેન વોર્નના મોત પછી થાઈલેન્ડ પોલીસે દિવસ-રાત વિલા અને અન્ય પાસાઓ પર તપાસ હાથ ધરી દીધી છે. તેમના જણાવ્યા પ્રમાણે વોર્ન થોડા દિવસો પહેલા જ હૃદયમાં સમસ્યા હોવાના કારણે ડોકટર પાસે સારવાર લેવા પણ ગયો હતો. આની સાથે પોલીસે વધુમાં જણાવ્યું કે મૃત્યુ સમયે વોર્નને ખાંસી આવતી રહી હતી અને આ દરમિયાન તેને સીપીઆર આપતા સમયે મોટી માત્રામાં લોહી પણ નીકળ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે થાઈલેન્ડના પ્રાઈવેટ વિલામાં વોર્ન અને અન્ય ૩ મિત્રો રોકાયા હતા. આ દરમિયાન રાત્રે ડિનર ટાઈમ પર શેન વોર્ન નીચે ગયો હતો. જેના થોડા સમય પછી વોર્નનો એક દોસ્ત પણ નીચે આવ્યો હતો ત્યારે તેણે શેન વોર્નને બેભાન અવસ્થામાં જોયો હતો. ત્યારે તાત્કાલિક દોસ્તોએ ભેગા મળીને તેને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (છાતી પર દબાણ કરી હાર્ટ પમ્પિંગ કરાવવું તથા શ્વાસ આપવો) દ્વારા બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
શેન વોર્નની તબિયતમાં સુધાર ન આવતા દોસ્તોઓ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દરમિયાન હોસ્પિટલ જતા સમયે તથા ત્યાં પહોંચ્યા પછી વોર્નને સીપીઆર આપવામાં આવ્યું હતું. છતા તેનો જીવ બચાવી શક્યા નહોતા. જોકે પોલીસે આગળ તપાસ દરમિયાન જાણ કરી કે વોર્નનું મોન શંકાસ્પદ નથી. હજુ વધુ પ્રક્રિયા કરી આગળ કાર્યવાહી હાથ ધરાશે.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મોરિસ પાયને વોર્ન સાથે હાજર દોસ્તો સાથે વાતચીત કરી હતી. આની સાથે જ વોર્નના પાર્થિવ શરીરને આજે ઓસ્ટ્રેલિયા પરત લઈ જવાઈ શકે છે જ્યાં વિધિસર તેની અંતિમક્રિયા પણ થશે.