જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા શનિવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કિશિદાનું સ્વાગત કર્યું હતું. અહીં કિશિદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય તેઓ ૧૪મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે.
જાપાનના અખબારે અહેવાલ આપ્યો છે કે કિશિદા તેમની મુલાકાત દરમિયાન ભારતમાં જાપાની કંપનીઓ દ્વારા સીધા રોકાણમાં વધારો અને ક્ષમતા વિસ્તરણની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કિશિદા લગભગ ૩૦૦ બિલિયન યેનની લોન પર સહમત થવાની અપેક્ષા છે.
બંને પક્ષો કાર્બન ઘટાડવા સંબંધિત ઊર્જા સહયોગ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. અખબારે અહેવાલ આપ્યો છે કે કિશિદા ભારતમાં ૫,૦૦૦ બિલિયન યેનના રોકાણની પણ જાહેરાત કરી શકે છે. આ રોકાણ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. અખબારે જણાવ્યું હતું કે ૫,૦૦૦ બિલિયન યેનનું રોકાણ કિશિદાના પુરોગામી શિન્ઝો આબે દ્વારા ૨૦૧૪ માં જાહેર કરાયેલ ૩,૫૦૦ બિલિયન યેન રોકાણ અને ભંડોળ ઉપરાંત હશે.
જાપાન હાલમાં ભારતના શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જાપાનની શિનકાનસેન બુલેટ ટ્રેન ટેક્નોલોજી પર આધારિત હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. વડાપ્રધાન કિશિદા આર્થિક પરિષદ દરમિયાન જાહેર-ખાનગી ભંડોળની જાહેરાત પણ કરવાના છે. જાપાનના વડાપ્રધાન શનિવારે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ સમિટમાં બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણોની સમીક્ષા કરવાની અને તેને આગળ લઈ જવાના માર્ગો પર વિચાર કરવાની તક મળશે.