ગુજરાત સહિત દેશભરમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની લાખો બેઠકો હજુ પણ ખાલી રહેતી હોવાથી ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા નવી ઈજનેરી કોલેજો શરૃ કરવા પરનો પ્રતિબંધ ૨૦૨૪ સુધી લંબાવ્યો છે.
એઆઈસીટીઈની તાજેતરમાં મળેલી એક્ઝિક્યુટિવ કમિટીની મીટિંગમાં નવી ઈજનેરી કોલેજો શરૃ કરવા પરના મોરેટોરિયમ પીરિયડને બે વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે.જેમાં ૨૦૨૨-૨૩ના વર્ષથી ૨૦૨૩-૨૪ સુધી દેશમાં નવી ઈજનેરી કોલેજો શરૃ નહી કરી શકાય.હવે સંસ્થાઓ ૨૦૨૪ના શૈક્ષણિક વર્ષ માટે જ નવી કોલેજો શરૃ કરવા અરજી કરી શકશે. દેશમાં ઈજનેરીની બેઠકો ખાલી રહેતી હોવાથી ટેકનિકલ કાઉન્સિલ દ્વારા બે વર્ષ ત્રણ વર્ષ પહેલા નવી ડિપ્લોમા, યુજી અને પીજી ઈજનેરી કોલેજો શરૃ કરવા ૨૦૨૨ સુધી પ્રતિબંધ ફરમાવ્યો હતો.પરંતુ હજુ પણ દેશમાં લાખો બેઠકો ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી ઈજનેરી અને એમ.ઈમાં ખાલી રહી છે.
ગયા વર્ષે ગુજરાતમાં ડિગ્રી ઈજનેરીમાં ૩૦ હજારથી વધુ તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પણ ૩૦ હજાર જેટલી બેઠકો ખાલી રહી હતી.જેને પગલે કાઉન્સિલે કેટલાક એક્સેપ્શન્સ સાથે મોરેટોરિયમ પીરિયડ બે વર્ષ માટે લંબાવ્યો છે. નવી ઉભરતી ટેકનિકલ બ્રાંચોમાં તેમજ કેટલાક એવા જિલ્લાઓ કે ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં એક પણ ઈજનેરી કોલેજ ન હોય તેવા સ્થળોએ નવી ઈજનેરી કોલેજ શરૃ કરી શકાશે.