ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું અમે ત્રણ કલાક સુધી વાતચીત કરી. આમાં અમે દ્વિપક્ષીય મુદ્દાઓ સહિત ઘણા પાસાઓ પર વાત કરી. આ ઉપરાંત અમે એલએસી મામલે વાતચીત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર શુક્રવારે તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે પૂર્વી લદ્દાખ વિવાદ અને યુક્રેન સંકટને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
ચીની સમકક્ષ સાથેની મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે મારી વાતચીત હમણાં જ સમાપ્ત થઈ છે. અમે લગભગ ૩ કલાક ચર્ચા કરી અને એક વ્યાપક કોર એજન્ડાને ખુલ્લા અને નિખાલસ રીતે સંબોધિત કર્યો. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી જે એપ્રિલ ૨૦૨૦ થી ચીનની કાર્યવાહીના પરિણામે વિક્ષેપિત થયા હતા.
ચીનના વિદેશ મંત્રી વાંગ ગુરુવારે રાત્રે કાબુલથી દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન કે, પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જયશંકરે વાટાઘાટો પહેલા ટ્વીટ કર્યું, ‘હૈદરાબાદ હાઉસમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીનું સ્વાગત કર્યું. અમારી ચર્ચા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.’ વાંગની મુલાકાત પર ભારત તરફથી આ પ્રથમ જાહેર ટિપ્પણી છે.
ભારતે પાકિસ્તાનમાં યોજાયેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠકમાં જમ્મુ અને કાશ્મીર પર ચીનના વિદેશ મંત્રી વાંગ યીના નિવેદનોને બિનજરૂરી ગણાવીને ફગાવી દીધા હતા. ભારતે કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત મામલા સંપૂર્ણપણે દેશનો આંતરિક મામલો છે.ઓઈસીની બેઠકમાં વાંગ દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ઉદ્ઘાટન સત્રમાં ભાષણ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી દ્વારા ભારતના બિનજરૂરી ઉલ્લેખને નકારી કાઢીએ છીએ.