ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના સુખાલીપુરાના ગ્રામજનોને શુક્રવારે સવારે થયો હતો. સુખાલીપુરા ગામમાં હજુ તો લોકો પોતાની દિનચર્યા શરૂ કરે ત્યાં સુધીમાં ત્યાં તો તેમને એક સુખદ આશ્ચર્યનો અનુભવ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સાથે અમદાવાદથી મોટર માર્ગે સુખાલીપુરા ગામે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ કે સરકારના કોઇ અધિકારીઓ, જિલ્લાતંત્ર વાહકોને જાણ કર્યા વિના વડોદરાના આ સુખાલીપુરા ગામે પહોચી ગયેલા જોઇ ગ્રામજનો તો અચંબામાં પડી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પણ પોતાના વાહનમાંથી ઉતરી ગ્રામીણખેડૂતો,માતા અને બહેનોના ઘર આંગણે જઇને તેમની સાથે સહજ વાતચીત સંવાદથી જનસેવક તરીકેની અનોખી સંવેદના દર્શાવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રામીણ મહિલાઓ સાથે ગામમાં સફાઇ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધા અંગે, શાળાએ જતા બાળકો સાથે શાળા શિક્ષણ અંગે લંબાણપૂર્વક વાતચીત કરીને સરકારની યોજનાઓના લાભ બરોબર મળે છે કે કેમ? તેની પૃચ્છા કરી હતી.