પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતથી વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ પર છે. આ માટે આપના મોટા ચહેરા એટલે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે તે અમદાવાદમાં રોડ શો યોજવાના છે. આજે રાત્રે ૦૮:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આ બંનેનું આગમન થશે.
આ બંને નેતાઓ આવતીકાલે એટલે કે શનિવારે અમદાવાદ પૂર્વમાં રોડ શો યોજવાના છે. રોડ શો માટેની પોલીસ પરવાનગી પણ આપને મળી ગઇ છે. ત્યારે અરવિંદ કેજરીવાલે રોડ શોની મંજુરી આપવા બદલ પોલીસનો આભાર પણ માન્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પર છે. પંજાબની સત્તાથી આમ આદમી પાર્ટી આખા દેશને હવે એક સંદેશ આપવા માંગે છે. અરવિંદ કેજરીવાલ લોકો સમક્ષ ‘આપ’ સરકારની છબી ઉભી કરવા માગે છે.
અમદાવાદ એરપોર્ટ પર આગમન સાથે બંને આપના નેતાઓનું આજે રાત્રે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બે દિવસના કાર્યક્રમ દરમિયાન કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમની મુલાકાત લેશે, તિરંગા યાત્રામાં જોડાશે અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે. તેમના આ પ્રવાસને લઈ ગુજરાત આમ આદમી પાર્ટીએ ભાજપ દ્વારા હુમલાની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલના પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીએ પોલીસને લેખિતમાં જાણ કરી છે કે અરવિંદ કેજરીવાલના બે દિવસિય કાર્યક્રમ દરમિયાન ભાજપના ગુંડા કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે હિંસક હુમલો કરવાનું કાવતરું ઘડ્યું છે. જેથી આ બંને દિવસો દરમિયાન કેજરીવાલ પર ભાજપના ગુંડા તત્વો દ્વારા હિંસક હુમલો થાય તેવી પૂરી શંકા અને સંભાવના છે. તેથી ભાજપના આવા તત્વો સામે અટકાયતી પગલાં લેવા અને અગાઉથી નજરકેદ રાખવા વીનંતી છે.