ગુજરાતમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે.
અગાઉ ગત મહિને ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસોમાંથી 10 કેસ પાછા ખેંચી લીધા છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, તે વખતે કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરોને આપવામાં આવેલા આદેશો અનુસાર કેસોને પાછા ખેંચવા માટે અલગ અલગ કોર્ટમાં અરજીઓ આપવામાં આવી હતી. અમદાવાદમાં કોર્ટે સાત કેસ પાછા ખેંચવા માટે અનુમતિ આપી હતી.
સિટી મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવા માટે અનુમતિ આપી, જેમાં કલમ 143, 144, 332 જેવી અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ વિરુદ્ધ દેશદ્રોહના કેસ સિવાય અમદાવાદની કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ હાર્દિક પટેલ અને અન્યો સામેનો ફોજદારી કેસ 15 એપ્રિલે પાછો ખેંચવાનો આદેશ આપી શકે છે.
બીજી બાજુ હાર્દિક પટેલે માંગ કરી હતી કે આંદોલન સાથે જોડાયેલા તમામ કેસને સરકાર પાછો લઈને પાટીદાર યુવાનોને રાહત આપે. હાર્દિકે સરકારને ચેતવણી આપી હતી કે, જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ફરીથી આંદોલન થશે.