કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે તાપમાનને લઇને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાળઝાળ ગરમીનો દૌર યથાવત રહેવામા પામ્યો છે. બીજી તરફ આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદ સહિત આસ-પાસના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી તો સૂર્યદેવનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે.અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૨ ડિગ્રીથી નીચે ગયો જ નથી. તેમાંય ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી ૨૪ કલાક સુધી ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની રહેતા તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થતાં ગુજરાત ભઠ્ઠી બની ગયું છે.
રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો સામાન્યથી ઊંચો રહેવા પામે છે. આમ સતત પડી રહેલા કાળઝાળ ગરમીના કારણે ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.