દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી
ઉત્તરાખંડમાં મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓની બસના ખીણમાં પડી જવાથી ૨૬ લોકોના મૃત્યુ થયા હતા. આ બસ રવિવારે સાંજે યમુનોત્રી ધામથી પરત ફરેલી ડામટાથી ૨ કિલોમીટર પહેલા અચાનક ખીણમાં પડી ગઈ હતી. દુર્ઘટનાની જાણ મળતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દુર્ઘટનામાં અસરગ્રસ્ત તમામ લોકો મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના રહેવાસી છે.
ઘટનાની જાણકારી મળતા જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દહેરાદૂન પહોંચ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાહત અને બચાવ કાર્યની દેખરેખની જવાબદારી પોતે સંભાળી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટના ખુબ જ પીડાદાયી છે. જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી શોક સંવેદના વ્યકત કરુ છુ. દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને ૨ / ૨ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.