રૂ.૩ લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર વાર્ષિક ૧.૫ %ની વ્યાજ સહાયને મંજૂરી

આ નિર્ણયથી કૃષિ ક્ષેત્રમાં ખેડૂતને પર્યાપ્ત ધિરાણનો પ્રવાહ સુનિશ્ચિત થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તમામ નાણાંકીય સંસ્થાઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પર ૧.૫ % વ્યાજ સહાયને પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આમ, નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ થી ૨૦૨૪ – ૨૫ માટે ધિરાણ સંસ્થાઓ (જાહેર ક્ષેત્રની બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્ક, સ્મોલ ફાઇનાન્સ બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો અને સીધી રીતે વાણિજ્યિક બેન્કો સાથે જોડાયેલ કોમ્પ્યુટરાઈઝ્ડ PACS)ને ખેડૂતોને રૂ.૩ લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન આપવા માટે ૧.૫ % વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે.

વ્યાજ સહાય સમર્થનમાં આ વધારા માટે આ યોજના હેઠળ ૨૦૨૨ – ૨૩ થી ૨૦૨૪ – ૨૫ના સમયગાળા માટે રૂ. ૩૪,૮૫૬ કરોડની વધારાની અંદાજપત્રીય જોગવાઈઓ જરૂરી છે.

લાભો:

વ્યાજ સહાયમાં વધારો કૃષિ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહનું ટકાઉપણું સુનિશ્ચિત કરશે તેમજ ગ્રામીણ અર્થતંત્રમાં પૂરતું કૃષિ ધિરાણ સુનિશ્ચિત કરીને ધિરાણ સંસ્થાઓ ખાસ કરીને પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું નાણાકીય સ્વાસ્થ્ય અને સદ્ધરતા સુનિશ્ચિત કરશે.

બેન્કો ભંડોળના ખર્ચમાં વધારાને શોષી શકશે અને ટૂંકા ગાળાની કૃષિ જરૂરિયાતો માટે ખેડૂતોને લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ખેડૂતોને કૃષિ ધિરાણનો લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે.  પશુપાલન, ડેરી, મરઘાં ઉછેર, મત્સ્યપાલન સહિતની તમામ પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની કૃષિ લોન પ્રદાન કરવામાં આવતી હોવાથી રોજગારીનું સર્જન પણ થશે. ખેડૂતો સમયસર લોનની ચૂકવણી કરતી વખતે વાર્ષિક ૪ % ના વ્યાજદરે ટૂંકા ગાળાની કૃષિ ધિરાણ મેળવવાનું ચાલુ રાખશે.

ખેડૂતોને બેંકને લઘુતમ વ્યાજ દર ચૂકવવાનો રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (આઇએસએસ) રજૂ કરી હતી. જેનું નામ હવે સંશોધિત ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ (એમઆઇએસ) રાખવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ ખેડૂતોને સબસિડીવાળા વ્યાજ દરે ટૂંકા ગાળાનું ધિરાણ પ્રદાન કરવાનો છે.

આ યોજના હેઠળ કૃષિ અને પશુપાલન, ડેરી, પોલ્ટ્રી, મત્સ્યપાલન વગેરે સહિત અન્ય આનુષંગિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ખેડૂતોને રૂ. ૩.૦૦ લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન વાર્ષિક ૭ % ના દરે ઉપલબ્ધ છે. ખેડૂતોને લોનની ત્વરિત અને સમયસર ચુકવણી માટે વધારાની ૩ % સહાય (ત્વરિત પુનઃચુકવણી પ્રોત્સાહન – પીઆરઆઈ) પણ આપવામાં આવે છે. તેથી જો ખેડૂત સમયસર તેની લોન ભરપાઈ કરે છે, તો તેને ૪ %ના વાર્ષિક દરે ધિરાણ મળે છે. ખેડૂતોને આ સુવિધા પ્રદાન કરવા માટે ભારત સરકાર આ યોજના ઓફર કરતી નાણાકીય સંસ્થાઓને ઇન્ટરેસ્ટ સબવેન્શન (આઇએસ) પ્રદાન કરે છે. આ સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ % ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે બજેટના ખર્ચ અને લાભાર્થીઓના કવરેજ અનુસાર કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની બીજી સૌથી મોટી યોજના પણ છે.

‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ૨.૫ કરોડનાં લક્ષ્યાંક સામે ૩.૧૩ કરોડથી વધારે ખેડૂતોને નવા કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) જાહેર કરવામાં આવ્યા છે. પીએમ-કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે કેસીસી સંતૃપ્તિ અભિયાન જેવી વિશેષ પહેલોએ કેસીસીને મંજૂરી અપાવવા માટે સામેલ પ્રક્રિયા અને દસ્તાવેજોને પણ સરળ બનાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *