દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ યુયુ લલિતે આજે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમને મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કરાવ્યા. આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જસ્ટિસ લલિત ભારતના ૪૯માં ચીફ જસ્ટિસ છે.
આઉટગોઈંગ ચીફ જસ્ટિસ CJI એનવી રમણના વિદાય સમારંભમાં તેમના શપથ ગ્રહણ પહેલા તેમણે ત્રણ મોટા સુધારા વિશે વાત કરી હતી. જસ્ટિસ યુયુ લલિતે કહ્યું કે, મારો પ્રયત્ન રહેશે કે કેસોની યાદીમાં પારદર્શિતા આવે. હું એવી વ્યવસ્થા બનાવી શકું કે જેમાં જરૂરી કેસ સંબંધિત બેન્ચ સમક્ષ સ્વતંત્રતા પૂર્વક ઉઠાવી શકાય. આ ઉપરાંત હું ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ બનાવી શકું, જે આખું વર્ષ કામ કરતી રહે.
ભારતના ૪૯માં મુખ્ય ન્યાયાધીશ બનેલા જસ્ટિસ યુયુ લલિત પર ભલે ન્યાયાધીશોની નિયુક્તિથી લઈને મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્નો જેવા પડકારો હશે પરંતુ તેની ન્યાયિક વારસાનો અનુભવ પણ તેમની પાસે હશે. કારણ કે, ૪ પેઢીઓથી યુયુ લલિતનો પરિવાર ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે. જસ્ટિસ લલિતના દાદા રંગનાથ લલિત આઝાદી પહેલા સોલાપુરમાં એક વકીલ હતા. જસ્ટિસ યુયુ લલિતના 90 વર્ષીય પિતા ઉમેશ રંગનાથ લલિત પણ પ્રોફેશનલ વકીલ રહી ચૂક્યા છે. બાદમાં તેમણે હાઈકોર્ટના જજ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત જસ્ટિસ લલિતના બે પુત્રો હર્ષદ અને શ્રેયશ છે જેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જોકે, બાદમાં શ્રેયશ લલિત પણ કાયદા તરફ વળ્યા હતા. તેમની પત્ની રવિના પણ વકીલ છે.