ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં રૂપિયા ૬ કરોડના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના કોઇપણ ગામના તળાવો એકબીજા સાથે લિંક છે. પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે, કોઇપણ ગામના તળાવનું પાણી ઉભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય. પરંતુ આઝાદી પછી કોઇએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા આવરા કે માર્ગની સફાઇની ચિંતા કરી નથી. જેની ફલશ્રૃતિ રૂપે તળાવો સુકાવવા લાગ્યા, તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યાં, તળાવમાં ગંદકી થવા લાગી અને પાણીના તળ નીચે જવા લાગ્યા છે. આજે લોકોને ફલોરાઇડ વાળું પાણી પીવાના દિવસો આવ્યા છે. પરંતુ ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા કેનાલની સુચારું વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ધીમે ધીમે પાણીના તળ ઉંચા આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આપણી આવનારી પેઢીઓ પાણીથી, પાણી દ્વારા અને પાણી થકી પોતાનું સ્વાસ્થ સાચવી શકશે. ફલોરાઇડ વાળું પાણી શરીરમાં ધીમા ઝેરી જેવું છે. પાણીના તળ ઉંચા લાવવા તથા જમીનના પાણીમાં ફલોરાઇડની માત્રા ઘટાડવાના ઉમદા આશયથી ગાંઘીનગરના આઠમાં તળાવના નવીનકરણના કામનો આરંભ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ત્રણ એકરથી મોટા તળાવોને આગામી ૧૦ વર્ષમાં સુંદર બનાવવામાં આવશે, તેવો ર્દઢ વિશ્વાસ વ્યક્ત કરીને અમિત શાહે ઉમેર્યું હતું કે, આ તળાવો ગામનો આત્મા બની રહેશે. આજે વડસર ગામના તળાવનાં વિકાસ કાર્યનો આરંભ થયો છે. જે આગામી સમયમાં ગામનું ઉર્જા કેન્દ્વ બની રહેશે. આ તળાવમાં નાના ભુલકાઓ માટે રમવાના સાધનો, વડીલોને બેસવા માટે બાંકડા, જન્મ દિવસ કે લગ્ન પ્રસંગ કરી શકાય તેવી વ્યવસ્થા પણ તળાવના વિકાસ કાર્યમાં પ્રાઘાન્ય આપવામાં આવી છે. વડસર ગામના તળાવ ખાતે વન જેવું જંગલનું નિર્માણ કરવામાં આવશે, ત્યાં બોટિંગની પણ સુવિઘા સાથે સાથે ખાણીપીણીનું બજાર બનશે. તળાવને પાણીથી ભરેલું રાખવા માટે આવરાઓની સફાઇ કરવામાં આવશે. તેની સાથે પ્રકૃતિના સોદર્યેની અનુભુતિ કરવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જે વૃક્ષો પક્ષીઓ માટે નિવાસસ્થાન બની રહેશે. આગામી એક વર્ષમાં આ કાર્ય પૂર્ણ થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડસર ગામની સ્કુલ, દવાખાના, તળાવના નવીનકરણ કે અન્ય કોઇ ગામના વિકાસ કાર્ય માટે રૂ. 4 કરોડની જોગવાઇ કરી આપવાની જાહેરાત કરી હતી. આ રૂપિયા ગ્રામજનોને ગામના દવાખાના, શાળા સંકુલના વિકાસ કાર્યમાં વાપરવા માટે પણ ગ્રામજનો અને સરપંચને ભારપૂર્વક જણાવ્યું હતું.
અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લાના ૭૫ તળાવોની જાળવણી વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે. આ દિશામાં સુચારું આયોજન થકી ગાંધીનગર જિલ્લામાં કાર્ય થઇ રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ૭૫ તળાવનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ તળાવના નવીનીકરણ માટે રુ. ૬ કરોડના ખર્ચે કરનાર એ.એચ.એમ.ના એમ.ડી અને અનિલ પટેલનું ગ્રામજનો વતી ફૂલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના આરંભે જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલે મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રીના સંસદીય મત વિસ્તારમાં આવતા ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આજે આઠમાં ગામના તળાવના નવીનીકરણ કામનો આરંભ કરવામાં આવ્યો છે. તળાવમાં જળના સંગ્રહ થવાથી આસપાસની જમીનના પાણીના તળ ઉંચા આવશે. નવીનીકરણ થનાર તળાવો ગામનું પર્યટક સ્થળ બની રહેશે. જેની જાળવણી કરવાની અને ગંદકી ન થાય તેનું ઘ્યાન રાખવાની જવાબદારી ગ્રામજનોની છે. ગામના વિકાસ માટે સમય અને શ્રમ દાન આપવા માટે અગ્રણીઓને જણાવ્યું હતું.
વડસર ગામના તળાવનું નવીનીકરણ કરવા રૂ. ૬ કરોડ અર્પણ કરનાર અને આનંદમૂ પરિવારના અનિલ પટેલે જણાવ્યું હતું કે, આધુનિક ભારતના દુરંદેશી, યશસ્વી સ્વપ્નદ્રષ્ટા એવા દેશના પ્રધાનમંત્રીના વન મિલિયન ટ્રી અભિયાન તથા પ્રકૃતિપ્રેમી અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારને હરિયાળો બનાવવા માંગતા કેન્દ્રીય ગૃહ મંત્રીના કાર્યમાં સહભાગી થવા આ તળાવના નવીનીકરણનું કામ કરવાની ઇચ્છા થઇ છે. આ કાર્યમાં મારી પડખે જે રીતે ગ્રામજનો ખભેથી ખભો મિલાવી ઉભા રહ્યા તે વાતે આ કાર્યને વઘુ સુંદર કરવાનો આત્મ વિશ્વાસ ઉભો કર્યો છે. તેમજ મારા ઉમદા વિચારને સાર્થક કરવાના કાર્યમાં બળ મળ્યું છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ પટેલ, ભાજપના અગ્રણી ઋત્વિજ પટેલ, હર્ષદભાઇ, કિરીટભાઇ, જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ સહિત વડસર અને આસપાસના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.