કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે અહીં એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) મંત્રીઓની ૨ દિવસીય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેકનોલોજી; રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પૃથ્વી વિજ્ઞાન; PMO, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે, અહીં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સત્તાવાર બેઠક બાદ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વખતે દરેક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી સંબંધિત નવી ટેકનોલોજીઓ અને અલગ અલગ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો “ઇઝ ઓફ લિવિંગ” માટે તેનો શ્રેષ્ઠતમ અમલ કરી શકે તે માટે આ પરિષદને અલગ ફોર્મેટ આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલન કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અંતર અને એકલા કામ કરવાની સ્થિતિને દૂર કરવામાં પણ મદદ કરશે, તેમજ સમગ્ર દેશમાં વધુ તાલમેલ દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી અને આવિષ્કાર (STI)ની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
તમામ ૨૮ રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ, ૮ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો, રાજ્યોના મુખ્ય અધિકારીઓ – મુખ્ય સચિવો, રાજ્યોમાં S&Tના અગ્ર સચિવો અને ભારત સરકારના તમામ વિજ્ઞાન સચિવો જેમ કે, DST, DBT, DSIR, MoES, DAE, DoS, ICMR, ICAR, જલ શક્તિ, MoEF & CC, MNRE અને ૧૦૦ કરતાં વધુ સ્ટાર્ટ અપ અને ઉદ્યોગોના CEO આ બે દિવસીય વિજ્ઞાન પરિષદમાં ભાગ લેશે.
આ બે દિવસીય વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદમાં એક નવું પરિમાણ હશે કારણ કે ઘણા પગલાં લક્ષી નિર્ણયો લેવામાં આવશે. મજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય STI નીતિની એરણે વ્યક્તિગત STI નીતિ ઘડવા માટે કહેવામાં આવશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સહકારી સંઘવાદની સાચી ભાવના ધ્યાનમાં રાખીને, કેન્દ્રદ્વારા રાજ્યોને તેમની રાજ્ય STI નીતિઓ ઘડવામાં મદદ કરવામાં આવશે. કેન્દ્ર વિશિષ્ટ STI જરૂરિયાતો, પડકારો અને અંતરાયોના ક્ષેત્રો પર ધ્યાન આપવા અને ઉકેલો તૈયાર કરવા માટે રાજ્યો સાથે સંયુક્ત રીતે કામ કરશે.
ડૉ. જિતેન્દ્ર સિંહે આ બેઠકમાં સહભાગી થયેલા લોકોને કહ્યું હતું કે, લગભગ દરેક રાજ્યમાં S&T પરિષદ છે પરંતુ માત્ર અમુક જ રાજ્યો સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને તેથી રાજ્યો સાથેના જોડાણને S&T પરિષદના સ્તરથી આગળના વધારવાની જરૂરિયાત અનુભવાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, STI ઇકોસિસ્ટમના મેપિંગમાં ચાર વ્યાપક સૂચકાંકો છે જેમ કે, સિસ્ટમમાં ઉત્પન્ન થયેલ જ્ઞાન, સિસ્ટમમાં ઉત્પાદિત જ્ઞાનનો પ્રસાર, જ્ઞાન ઉત્પાદકો અને જ્ઞાન પ્રસારકો વચ્ચેની સંવાદ/જોડાણ અને સિસ્ટમની જરૂરિયાતો/અગ્રતા અને પડકારો/નબળાઇઓની ઓળખ. મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, DST એ રાજ્યોની STI ઇકોસિસ્ટમના મેપિંગ માટે ‘સિસ્ટમ ફ્રેમવર્ક’ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે.
આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. સારસ્વત, ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. અજય સૂદ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. એસ. ચંદ્રશેખર, અવકાશ વિભાગના સચિવ, એસ. સોમનાથ, પૃથ્વી વિજ્ઞાન સચિવ ડૉ. એમ. રવિચંદ્રન, બાયોટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. રાજેશ ગોખલે, ક્ષમતા નિર્માણ આયોગના સચિવ હેમાંગ જાની તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન, જલ શક્તિ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયોના પ્રતિનિધિઓ અને MNRE અને વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.