સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, ‘રાષ્ટ્રીય ધોરી માર્ગમાં વિશ્વામિત્રી નદી પરના ઓવરબ્રિજ ઉપરાંત જાંબુઆ, પોર અને બામણ ગામના પુલ હાલમાં ફોરલેન હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.
આથી, તેઓએ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને વડોદરાથી ભરૂચ માર્ગ પરના ચાર ઓવર બ્રિજના કારણે થતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. તેઓએ આ બાબતે ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.’
સાંસદ રંજનબેને જણાવ્યું કે, ‘મહત્વનું છે કે, આ ચારેય ઓવરબ્રિજને સિક્સ લેન કરવા માટે ભરૂચ સ્થિત રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રાધિકરણ (NHAI) ની કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવી હતી. જેને ઝડપથી મંજૂરી મળી જાય એવી અપેક્ષા છે.’ ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની આ બેઠકમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓના ત્વરિત અમલીકરણ ઉપરાંત સારી ગુણવત્તાયુક્ત કાર્યો થાય અને લોકોની જરૂરિયાત મુજબ થાય એ વિષય ઉપર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, ધારાસભ્ય જીતુ સુખડિયા, જસપાલસિંહ પઢિયાર અક્ષય પટેલ, શૈલેષ મહેતા ઉપરાંત અધિક કલેક્ટર ગોપલ બામણિયા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.