નવરાત્રી ગરબાનું આયોજન રાજ્ય સરકારે પહેલી વાર ગુજરાતના ૮ જેટલા વિવિધ સ્થળોએ કર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે રાત્રે અમદાવાદ જી એમ ડી સી ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. રાજય સરકારના પ્રવાસન અને યાત્રાધામ વિભાગ તેમજ યુવક સેવા સંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં ઉત્સવની જે પરંપરા છે તેને જન ઉત્સવ બનાવી વિશ્વમાં આગવી ઓળખ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ઉભી કરી છે. ગરબાને ગ્લોબલ ઓળખ આપવા વાયબ્રન્ટ નવરાત્રીનું તેમણે જે આયોજન કરાવ્યું તે હવે ગુજરાતની એક વિશેષતા બની ગઈ છે. મુખ્યમંત્રીએ આ વર્ષે નવરાત્રી ગરબાનું આયોજન રાજ્ય સરકારે પહેલી વાર ગુજરાતના ૮ જેટલા વિવિધ સ્થળોએ કર્યું છે તે માટે વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય અને રાષ્ટ્રની વિકાસ યાત્રા આદ્યશક્તિની કૃપા અને જન સહયોગથી વધુ ઉન્નત બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ અવસરે ગુજરાત હાઇકોર્ટેના ચીફ જસ્ટીસ અરવિંદ કુમાર, રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ પૂર્ણશ મોદી, જગદીશ વિશ્વકર્મા, અરવિંદ રૈયાણી, સાંસદો, ધારાસભ્યો અમદાવાદના મેયર તેમજ વરિષ્ઠ સચિવો,આમંત્રિતો તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો શ્રદ્ધાપૂર્વક મહા આરતીમાં પણ જોડાયા હતા.