મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલાર પાવર્ડ વિલેજ

સૂર્યમંદિર માટે પ્રખ્યાત મહેસાણાનું મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ ( ૨૪ x૭ ) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કરશે.

મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ અંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. ૨૦૩૦ સુધીમાં ભારતની ૫૦ % ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને ૨૪ x૭ સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ ૬ કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે ‘મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન’ શરૂ કર્યું.

 

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે ૧૨ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં ૫૦ – ૫૦ ટકાના ધોરણે રૂ. ૮૦.૬૬ કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે. એટલે કે પ્રથમ તબક્કામાં ( ફેઝ – ૧ ) રૂ. ૬૯ કરોડ અને બીજા તબક્કામાં ( ફેઝ – ૨ ) રૂ. ૧૧.૬૬ કરોડ ખર્ચવામાં આવ્યા.

૧ KWની ૧૩૦૦ થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. જ્યારે સાંજના BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને ૩ – D પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ ૩ – D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે ૦૩:૧૮ મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે પણ ૦૬:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. ૩ – D પ્રોજેક્શન દરરોજ સાંજના ૦૭:૦૦ થી ૦૭:૩૦ વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *