ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ PM નરેન્દ્ર મોદી ગુજરાતના ૩ દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં ૧૪૧ લોકોના મોત નિપજ્યાં છે. આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. તેમની મુલાકાત પહેલા સોમવારે રાત્રે મોરબીની હોસ્પિટલનું રંગ-રોગાન કરવામાં આવ્યું હતું.
ગઇકાલે રાત્રે હોસ્પિટલની કેટલીક દિવાલો અને છતના ભાગોને ફરીથી રંગવામાં આવ્યા હતા અને નવા વોટર કૂલર પણ ત્યાં રાખવામાં આવ્યા હતા. આ સાથે જ પુલ અકસ્માતમાં ઘાયલ થયેલા ૧૩ જેટલા લોકો જે બે વોર્ડમાં છે ત્યાં પલંગની ચાદર પણ બદલવામાં આવી હતી. જણાવી દઈએ કે મોડી રાત્રે ઘણા લોકો આખા કેમ્પસમાં સફાઈ કરતા જોવા મળ્યા હતા.
અચાનક પીએમ મુલાકાતે આવે છે ત્યારે આવા ‘રિનોવેશન’ ને જોઈને વિરોધ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઘણા કટાક્ષ કર્યા છે. કોંગ્રેસે કટાક્ષ કરતાં આ મુલાકાત ઈવેન્ટિંગ ગણાવ્યું છે અને આમ આદમી પાર્ટી એ ફોટોશૂટની તૈયારીઓ જણાવીને ટોણો માર્યો છે. મળતી માહિતી મુજબ મોરબીમાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા હોસ્પિટલે પહોચતા કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું.