ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. AIMIM પાર્ટી તેલંગાણાથી નીકળીને વિસ્તરી રહી છે. ગુજરાતના મુસ્લિમ અને દલિત મતદારો પર પાર્ટીની નજર છે, આ માટે પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં સતત રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. ગુજરાતમાં વધુમાં વધુ સીટો જીતવા માટે ઓવૈસીએ ‘માસ્ટર પ્લાન’ બનાવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AIMIMનો માસ્ટરપ્લાન શું છે? તે અંગે આપણે આ અહેવાલમાં જાણીશું. વાસ્તવમાં ગુજરાતની ચૂંટણીને આડે બે સપ્તાહનો સમય બાકી છે. અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટી મુસ્લિમ મતદારોને રીઝવવા માટે સખત મહેનત કરી રહી છે. માસ્ટર પ્લાન મુજબ, AIMIM ૧૫ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારી રહી છે, પાર્ટીએ ચૂંટણી માટે ૨૦ લોકોની સોશિયલ મીડિયા ટીમ ઉતારી છે, જે દિવસ – રાત પ્રચારમાં લાગેલી છે.
ગુજરાતમાં પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી પોતે ૧૭ રેલીઓ કરશે. આ સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા ઈમ્તિયાઝ જલીલ, વારિસ પઠાણ અને હૈદરાબાદના ૭ ધારાસભ્યો ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. જ્યારે અકબરુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીની છેલ્લી ઘડીએ પાર્ટીનો પ્રચાર કરવા ગુજરાત આવશે.