ઈસરો દ્વારા દેશના અવકાશ યાત્રીઓને અંતરીક્ષમાં મોકલવાનું પહેલું મિશન ગગનયાન વર્ષ ૨૦૨૪ ના ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન યોજાશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખીત જવાબમાં આ મુજબ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે, અવકાશ યાત્રીઓની સલામતી અગત્યની હોવાથી ગગનયાનના પ્રત્યક્ષ ઉડ્ડયન પહેલા માનવ વિનાના બે પ્રાયોગીત ઉડ્ડયનો હાથ ધરાશે.આ પૈકી પહેલું ઉડ્ડયન વર્ષ ૨૦૨૩ ના ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન હાથ ધરાશે. પ્રથમ અવકાશ ઉડ્ડયન માટેના અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે અને હાલમાં તેઓને બેંગલુરુ ખાતે તાલીમ આપવામાં આવી રહી છે.