૧૭ જાન્યુઆરી સુધી આ સપ્તાહની ઊજવણી કરવામાં આવશે.
રાજ્યમાં આજથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થશે અને ૧૭ જાન્યુઆરી સુધી ઊજવણી કરવામાં આવશે. માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા વધારવા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે રાજ્ય માર્ગ-વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકાર માર્ગ અકસ્માતો ઘટાડી, માર્ગ સલામતી વધારવા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને જીવ પણ ગુમાવે છે. આ કારણોસર લોકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવો આવશ્યક છે.
આ સપ્તાહ દરમિયાન જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમિતિઓ દ્વારા આર.ટી.ઓ., પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે ઓથોરીટી તથા શિક્ષણ વિભાગની કચેરીઓ સાથે સંકલનમાં રહીને શેરી નાટકો, સેમીનાર, વર્કશોપ, તાલીમ કાર્યક્રમો, તથા માર્ગ સલામતી મેળાઓ અને ટ્રફિક નિયમોની જાણકારી અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. માર્ગ સલામતી સપ્તાહ સંદર્ભે આજે અમદાવાદ, વસ્ત્રાપુર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.