બેવડી ઋતુ, ઠંડી અને ભેજવાળાં વાતાવરણને લઈને શહેરમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં મેડિકલ સ્ટોર્સમાં પણ દવાઓની માગ વધી છે ત્યારે કોરોનાના નવા વેરિઅન્ટને પગલે ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુ:ખાવો, ડાયેરિયા, તાવ સહિતની બીમારીની દવા લેતા દર્દીઓની મેડિકલ સ્ટોરના માલિકે ફરજિયાત નોંધણી કરવાની રહેશે.
મેડિકલ સ્ટોર્સના સંચાલકે ACSYS એપ્લિકેશનમાં ફરજિયાત તેની એન્ટ્રી કરવાની રહેશે. તેનું પાલન નહીં કરનારા મેડિકલ સ્ટોર્સના માલિક સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાનો તંત્રએ આદેશ કર્યો છે. જિલ્લાના મેડિકલ સ્ટોર્સમાંથી દવા લઇને સારવાર લેતા લોકોની માહિતી આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી છે. જેમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકો માટે સ્પેશિયલ ACSYS એપ્લિકેશન બનાવાઇ છે.
એપ્લિકેશનમાં મેડિકલ સ્ટોર્સવાળાએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દર્દીઓ શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ડાયેરિયા જેવી બીમારીની દવા મેડિકલ સ્ટોર્સમાંથી લઇ જતા હોય છે ત્યારે જો આવા દર્દીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે તો સંક્રમણને ફેલાતું અટકાવી શકાય. મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુ:ખાવો, ડાયેરિયા, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારીની દવા લેનાર દર્દીનું નામ, સરનામું, ઉંમર, મોબાઇલ નંબર મેડિકલ સ્ટોર્સના સંચાલકે એસીએસવાયએસ એપ્લિકેશનમાં ફરજિયાત માહિતી ભરવાની રહેશે.