એકતાનગર ખાતે “૨૨ મા ભારત રંગ મહોત્સવ-૨૦૨૩” નો શુભારંભ

એકતાનગર ખાતે “૨૨ મા ભારત રંગ મહોત્સવ-૨૦૨૩” નો શુભારંભ ભારત રંગ મહોત્સવ પ્રેક્ષકોને થિયેટરનો પરિચય આપીને રંગમંચ સાથે સાંકળી રાખશે : શ્રી ઉદિત અગ્રવાલ, મુખ્ય કારોબારી અધિકારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં પ્રારંભાયેલા રંગ મહોત્સવને નિહાળવા માટે સ્થાનિકો-પર્યટકોને આહ્વાન કરતા શ્રી ઉદિત અગ્રવાલ નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને પારસી રંગભૂમિના પ્રાણસમા, પદ્મશ્રી યઝદી કરંજિયાએ નોંધાવી વિશેષ ઉપસ્થિતિ દેશની માટી ઉપર જન્મેલી રંગભૂમિનો વારસો ઘણો સમૃદ્ધ છે. જેને જીવંત રાખવા તથા નાટ્યના રંગકર્મીઓની કલાને વધુ પ્રોત્સાહિત કરવા હેતુસર રાષ્ટ્રીય નાટ્ય શાળા દિલ્હી અને સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં એકતા ઓડિટોરિયમ ખાતે “૨૨ મા ભારત રંગ મહોત્સવ-૨૦૨૩, ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા” નો શુભારંભ કરવામાં આવ્યો હતો. નેશનલ સ્કુલ ઓફ ડ્રામા-દિલ્હીના ડાયરેક્ટર ડો. રમેશચંદ્ર ગૌરની ઉપસ્થિતિમાં પ્રારંભાયેલા સમારોહમાં કલાપ્રેમી SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારી (CEO) શ્રી ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પોતાની ગરિમામય ઉપસ્થિતિ નોંધાવી હતી. પારસી રંગભૂમિના પ્રાણસમા, પદ્મશ્રી યઝદી કરંજિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રેક્ષકો તેમના હાસ્યકલાની ઝલક નિહાળીને ખડખડાટ હસ્યા હતા. આ પ્રસંગે SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલે વિવિધ શહેરો સહિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ પ્રારંભાયેલા થિયેટર ફેસ્ટિવલને તક સમાન ગણાવી હતી.

આ ફેસ્ટિવલનો હેતુ સ્થાનિકો સહિત પર્યટકોને થિયેટરનો પરિચય તથા મનોરંજનનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં આ ફેસ્ટિવલ યોજાતા પ્રવાસનને વધુ વેગવાન બનાવી શકે છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ કલામંચ પર પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પોતાના કોલેજગાળાના થિયેટરના યાદગાર ક્ષણો રજૂ કર્યા હતા. દિલ્હી, જયપુર, ભોપાલ, ગુવાહટી, રાચી, નાસિક, રાજામુન્દ્રા, જમ્મુ અને શ્રીનગર થઈને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૨૧-૨૬ ફેબ્રુઆરી સુધીના આ સમારોહમાં બુધવારની પૂર્વસંધ્યાએ રંગભૂમિના કલાકારોએ રંગમંચ પર કલાની ભવ્યતાના દર્શન કરાવ્યા હતાં. પી.એસ.ચારીના નિર્દેશનમાં તૈયાર કરાયેલ ગુજરાતી નાટક “વન્સ મોર- દેશી ગુજરાતી ઓપેરા” પ્રેશકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં નાટક-રંગમંચનું એક વિશેષ સ્થાન રહ્યું છે. રંગમંચે લોકોને મનોરંજન સહિત સામાજિક દુષણોને ઉજાગર કરવાનું શ્રેષ્ઠ કામ કર્યું છે. રંગભૂમિ ઇતિહાસના પાને એક સૂવર્ણ રીતે અંકિત છે. ગુજરાતી રંગભૂમના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતની અસ્મિતા છે. ખરેખર એકતાનગર (કેવડિયા) ખાતે છ દિવસીય આ થિયેટર ફેસ્ટિવલનો લ્હાવો સ્થાનિકો અને પર્યટકો માટે એક અદભૂત સંભારણા બની રહેશે. આ વેળાએ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સચિવશ્રી રુશીન ભટ્ટ, એકતાનગર મહોત્સવ ઇન્ચાર્જશ્રી ભાર્ગવ ઠક્કર સહિત કલાપ્રેમીઓએ રંગમંચના કલાકારોને નિહાળીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત (થિયેટર) નાટ્યકલાના સાચા દર્શન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *