હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૦૪/૦૩/૨૦૨૩ થી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી છાંટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.

સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. ૫ અને ૬ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.