કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમાચાર:- સવારે પાંચ વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. કપાટ ખુલ્યા બાદ ગર્ભગૃહમાં ભગવાન કેદારનાથની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ ૮ હજાર જેટલા ભક્તોએ બાબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
બાબા કેદારનાથ મહાદેવના દર્શનની આતુરતાનો આજે અંત આવ્યો છે. કારણે કે આજે ખુલી ગયા છે, બાબાના મંદિરના કપાટ. કેદારનાથ ધામના કપાટ આજે મંગળવારે સવારે ૦૬:૨૦ મિનિટે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા. કપાટોદ્ઘાટનના શુભ અવસર પર કેદારનાથ મંદિરને ૩૫ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. લગભગ આઠ હજાર જેટલા ભક્તો કપાટોદ્ઘાટનના શુભ મુહૂર્તના સાક્ષી બન્યા. બાબા કેદારનાથના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
૦૬:૨૦ કલાકે ખુલ્યા મંદિરના કપાટ
સવારે ૦૫:૦૦ વાગ્યાથી જ કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. આ પછી વહીવટી તંત્ર દ્વારા રાવલ અને શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પદાધિકારીઓની હાજરીમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સવારે ૦૬:૨૦ કલાકે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ભક્તો ઢોલ-નગારાંના તાલે ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. ભક્તો ભોલેનાથ કી જય, હર હર મહાદેવ જેવા નારા શ્રદ્ધાપૂર્વક લગાવતા જોવા મળ્યા હતા.