ચારધામ યાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેદારનાથમાં હિમવર્ષા તેમજ ઠંડી પડી રહી હોવા છતાં ભક્તો અડગ છે. ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ હેલ્થ ઈશ્યુનાં કારણે જીવ પણ ગુમાવવા પડ્યા છે.
ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે ભક્તોની ભીડ સતત બાબાના દરબાર પર પહોંચી રહી છે. વરસાદ, બરફવર્ષા અને ઠંડી લોકોને રોકી શકી નથી. લોકોની આસ્થા આ બધી બાબતો પર ભારે પડી રહી છે. ચારધામમાં યાત્રીઓએ અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં તેઓ બાબાના દરબારમાં પહોંચી રહ્યા છે. સતત ચારધામમાં પહોંચી રહેલા શ્રદ્ધાળુઓએ હેલ્થ ઇશ્યૂના કારણે જીવ પણ ગુમાવવા પડ્યા છે.
ચારધામ યાત્રા રૂટ પર ૨૧ શ્રદ્ધાળુઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તેમાં કેદારનાથમાં આઠ યાત્રી, યમુનોત્રીમાં છ, ગંગોત્રીમાં ચાર, બદરીનાથમાં ત્રણ યાત્રીઓએ જીવ ગુમાવવા પડ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે વિભાગે ૮૦,૦૦૦ યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યું છે અને ૫૫થી વધુ ઉંમરના તમામ લોકોનું સ્ક્રીનિંગ થઇ રહ્યુ છે. સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓનું માનવું છે કે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ છે. ચારધામ યાત્ર દરમિયાન શ્રદ્ધાળુઓએ અલગ અલગ કારણોસર જીવ ગુમાવવો પડ્યો છે.
૧૧ દિવસમાં ૧.૧૮ લાખ લોકોએ બદરીનાથ ધામની યાત્રા કરી છે. અહીં હવામાન ખરાબ હોવાથી યાત્રા રોકી દેવામાં આવી હતી. દરરોજ બદ્રીનાથમાં બપોર પછી હવામાન બગડી રહ્યું છે. કડકડતી ઠંડી પડી રહી છે. સૂરજ નીકળે ત્યારે યાત્રાળુઓને ઠંડીમાં રાહત મળે છે. આ વખતે યાત્રાળુઓનો ધસારો જોતાં દર્શનાર્થીઓનો અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટવાની સંભાવના છે. અત્યાર સુધી ચાર ધામ યાત્રા પર પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. કેદારનાથમાં સોમવારે ૧૬૦૦૦ યાત્રીઓ પહોંચ્યા હતા, જ્યારે બદરીનાથ ધામમાં ૧૦,૦૦૦ લોકોએ દર્શન કર્યાં હતાં. દરરોજ ૧૩૦૦૦થી વધુ યાત્રીઓ પહોંચી રહ્યા છે. અત્યાર સુધી ૧,૩૨,૫૫૨ તીર્થયાત્રી બદરીનાથ ધામ પહોંચી ચુક્યા છે.