WHO ચીફે કહ્યું કે, વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે, આવનારા વાયરસથી ઓછામાં ઓછા ૨ કરોડ લોકો માર્યા જશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ડો. ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસે એક મોટી ચેતવણી આપી છે. વાત જાણે એમ છે કે, WHOના વડાએ કહ્યું છે કે, વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે. એક રિપોર્ટ અનુસાર WHO ચીફે કહ્યું કે, આવનારા વાયરસથી ઓછામાં ઓછા ૨ કરોડ લોકો માર્યા જશે. નોંધનીય છે કે, તાજેતરમાં ગ્લોબલ હેલ્થ બોડીએ જાહેરાત કરી હતી કે, કોવિડ – ૧૯ રોગચાળો હવે સ્વાસ્થ્ય કટોકટી નથી.
WHOના વડાએ જિનીવામાં તેમની વાર્ષિક હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે, આવનારી મહામારીને રોકવાનો સમય આવી ગયો છે. આ માટે વાતચીતને આગળ વધારવાનો સમય છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સની બેઠકમાં WHOના વડાએ ચેતવણી આપી હતી કે, કોવિડ – ૧૯ રોગચાળો હજુ સમાપ્ત થયો નથી.
WHOના વડા ડો.ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે, કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. તે કોવિડ કરતા ઘાતક હોઈ શકે છે અને તે વધુ ઘાતક સાબિત થશે. તેમણે ચેતવણી આપી હતી કે, વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે બંધાયેલા રહેશે. WHO એ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી છે, જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે.
WHOના વડાએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કોવિડ-19એ આપણી દુનિયા બદલી નાખી છે. આમાં લગભગ ૭૦ લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે આંકડો આનાથી વધુ હોઈ શકે છે, જે લગભગ ૨૦ મિલિયન હશે. તેમણે કહ્યું કે જે ફેરફારો કરવા જોઈએ તે આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને જો હવે ન બને તો ક્યારે. આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ. આપણે નિર્ણાયક, સામૂહિક અને સમાન રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.