સંભવિત વાવાઝોડું બિપોરજોયની આગાહીને પગલે બંદરો પર ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે નવલખી, વેરાવળ, માંગરોળ તેમજ કચ્છ સહિતનાં બંદરો પર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
જુનાગઢનાં માંગરોળમાં દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યારે માંગરોળનાં દરિયામાં ભારે કરંટ દેખાતા ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે તમામ માછીમારોને પોતાની બોટો-હોડીઓ દરિયા કિનારે લાવવા સૂચના આપવામાં આવી છે. હાલ માંગરોળ પંથકનું વાતાવરણ વાદળછાયું છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડાને કારણે બંદરો પર સિગ્નલ લગાવાયા છે. જેમાં કચ્છનાં તમામ બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગની આગાહી બાદ કચ્છનાં પોર્ટ હરકતમાં આવ્યા છે. કંડલા, મુન્દ્રા અને જખૌ સહિતનાં પોર્ટ પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે.
હવામાન વિભાગની આગાહીને લઈને પોરબંદર તેમજ વેરાવળ પોર્ટ એલર્ટ છે. પોરબંદરનાં બંદર પર ૧ નંબરનું સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. મોટા ભાગની બોટ બંદર પર પરત આવી છે.
દ્વારકાનાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ભડકેશ્વર દરિયાકિનારે ૧૫ ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા. તેમજ ગોમતીઘાટે પણ ૧૦ ફૂટ જેટલા ઊંડા મોજા ઉછળ્યા હતા.તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાનાં દરિયામાં આજે ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં ભારે કરંટ વચ્ચે યાત્રિકોએ ગોમતીઘાટે સ્નાન કર્યું હતું.
અરબી સમુદ્રમાં ચક્રવાત બન્યા બાદ તે વાવાઝોડું બનીને ગુજરાત તરફ આવે કે ગુજરાતના દરિયાકિનારે ત્રાટકે તો ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય વાવાઝોડા દરમિયાન તોફાની પવનો ફૂંકાઈ શકે છે, જેની ગતિ ૫૦ કિમી પ્રતિ કલાક કે તેનાથી પણ વધારે હોઈ શકે છે.