ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયાએ જણાવ્યું હતું કે ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા ઊંઝા ખાતે ૨.૧૪ લાખથી વધુની કિંમતનો ૩૬૮૦ કિ.ગ્રામ. બનાવટી જીરુંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કોશિયાએ કહ્યું હતું કે, ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા બનાવટી જીરું અંગે ઊંઝામાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં કૌભાંડ આચરનાર વેપારી પટેલ મહેન્દ્રભાઈ મફતલાલ, મકતુપુર- સુણોક રોડ, મુ-મકતુપુર, ઊંઝાની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર બનાવટી જીરાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા ઝીણી વરિયાળીમાં બ્રાઉન પાઉડર અને ગોળની રસી ભેગી કરી બનાવટી જીરું બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જે જીરામાં ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળ્યું છે. તપાસ દરમિયાન સ્થળ પર “ગોળની રસી”નો ૧૦૦ લીટર જથ્થો, “બ્રાઉન પાઉડર” નો ૩૫૦ કિલોગ્રામ જથ્થો, ઝીણી વરીયાળીનો ૬૩૦ કિલોગ્રામ જથ્થો અને બનાવટી જીરાનો ૨૭૦૦ કિલોગ્રામ જથ્થો ટીમ દ્વારા સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડવામાં આવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, સ્થળ પરથી જીરું- ૦૧, ગોળની રસી (એડલટ્રન્ટ) – ૦૧, બ્રાઉન પાઉડર (એડલટ્રન્ટ) – ૦૧ અને ઝીણી વરિયાળી (એડલટ્રન્ટ) – ૦૧ મળીને કુલ- ૦૪ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ગોળની રસીના જથ્થાનો સ્થળ પર જ વેપારી દ્વારા સ્વેચ્છાએ નાશ કરવામાં આવ્યો હતો અને બાકીનું બનાવટી જીરું, બ્રાઉન પાઉડર અને ઝીણી વરિયાળીનો કુલ ૩૬૮૦ કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત ૨,૧૪,૧૫૦/- થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. વધુમાં આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ કમિશનરે વિગતો આપતા કહ્યું હતું.