સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલ મુજબ ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદને પરિણામે રાજ્યમાં ૦૩ જુલાઈએ સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૩૮.૬૧ % પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. જ્યારે ગત વર્ષની સરખામણીમાં આ સમયે ૩૭.૧૬ % સામે આ વર્ષે ૪૪.૩૮ % જળાશયો ભરાયા છે.
ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૫૫.૧૭ % પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના ૧૯ જળાશયો ૧૦૦ %થી વધુ ભરાયા છે. ૨૯ જળાશયોમાં ૭૦ %થી ૧૦૦ %, ૨૫ જળાશયો ૫૦ થી ૭૦ % તેમજ ૫૪ જળાશયો ૨૫ થી ૫૦ % વચ્ચે ભરાયા છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં ૧૦૦ % ભરાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટિ, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત ઉતર ગુજરાતના કુલ ૧૫ જળાશયો ૪૮.૭૨ %, મધ્યગુજરાતના ૧૭ જળાશયો ૩૦.૮૯ %, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો ૩૫.૩૯ %, કચ્છના ૨૦ જળાશયો ૫૦.૯૫ %, તેમજ સૌરાષ્ટ્રના કુલ ૧૪૧ જળાશયોમાં ૪૭.૧૮ % પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક ૫૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૩,૦૭૬ કયુસેક, દમણગંગામાં ૬૮૭૨ અને હિરણ-૨માં ૫૧૯૯ કયુસેક પાણીનો સમાવેશ થાય છે