વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ૧૮ જુલાઈના રોજ NDAની બેઠક, NDAમાં ભાગ લેનાર રાજકીય પક્ષોના ટોચના નેતાઓને સામેલ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ૧૮ જુલાઈના રોજ NDAની બેઠક યોજાવાની છે. આ તરફ હવે દેશ આખાની નજર આ બેઠક પર છે. વાત જાણે એમ છે કે, અમરાવતી (એપી) જનસેનાના વડા પવન કલ્યાણ પણ NDAની બેઠકમાં ભાગ લેશે. તેમને દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું.
પવન કલ્યાણ અને તેમની પાર્ટી જનસેનાની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ અને ભૂતપૂર્વ સંયુક્ત આંધ્ર પ્રદેશ વિધાનસભાના સ્પીકર નડેન્દલા મનોહર બેઠકમાં ભાગ લેવા માટે આ મહિનાની ૧૭ મી તારીખે સાંજે દિલ્હી પહોંચશે. જેમાં NDAમાં ભાગ લેનાર રાજકીય પક્ષોના ટોચના નેતાઓને સામેલ કરવામાં આવશે.
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના વડા જીતન રામ માંઝીને NDAની બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં જ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાય પણ પટનામાં ચિરાગ પાસવાનને મળ્યા હતા. ત્યારથી NDAની બેઠકમાં તેમની ભાગીદારી અંગેની ચર્ચાઓ તેજ હતી. બેઠક બાદ ચિરાગે કહ્યું હતું કે, ભાજપ સાથે ગઠબંધનની વાત ઘણા સમયથી ચાલી રહી છે. હવે વધુ એક કે બે રાઉન્ડની વાતચીત થવાની છે.
ખાસ વાત એ છે કે, જનસેના અને પૂર્વ NDA સહયોગી TDP વચ્ચે આંધ્રપ્રદેશમાં ગઠબંધન માટે ગંભીર ચર્ચા ચાલી રહી છે. ૧૮ મી જુલાઈએ રાષ્ટ્રીય સ્તરે બે મહત્વની બેઠક યોજાવાની છે અને તમામ રાજકીય પક્ષો બંને પર નજર રાખશે. નોંધનીય છે કે, 18 જુલાઈના રોજ દિલ્હીમાં ભાજપના નેતૃત્વમાં NDAની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. બીજી બાજુ તે જ દિવસે બેંગલુરુમાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોની બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ૨૪ રાજકીય પક્ષો ભાગ લઈ શકે છે.