કેન્દ્ર સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં મંજૂર થયો છે અને હવે તેના પર વોટિંગ થશે.
મણિપુર હિંસાને લઈને વિરોધ પક્ષો સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના સભ્ય રંજન ગોગોઈએ રજૂ કરેલા પ્રસ્તાવને ચર્ચા માટે મંજૂરી મળી ગઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેઓ તમામ પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરીને ચર્ચાની તારીખ વિશે જાણકારી આપશે. મંગળવારે સાંજે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગૃહમાં વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવી રહેલા અવિશ્વાસ પ્રસ્તાવ વિશે મીડિયાને જાણકારી આપી હતી.
સંસદીય લોકતંત્રમાં કોઈપણ સરકાર જ્યાં સુધી ચૂંટાયેલા ગૃહ (લોકસભા)માં બહુમતિ હોય ત્યાં સુધી સત્તામાં રહી શકે છે. આપણા બંધારણની કલમ ૭૫(૩) સ્પષ્ટ કરે છે કે મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટે ૫૦ સાંસદોનું સમર્થન મેળવનાર લોકસભાના કોઈ પણ સભ્ય ગમે ત્યારે મંત્રીપરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મંજૂર થયા બાદ સંસદમાં તેની ચર્ચા થાય છે. અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરી રહેલા સાંસદો સરકારની ખામીઓને ઉજાગર કરે છે અને ટ્રેઝરી બેંચ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જવાબ આપે છે.
ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ૨૭ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. મોદી સરકાર વિરુદ્ધ છેલ્લે અવિશ્વાસ પ્રસ્તાવ જુલાઈ ૨૦૧૮ માં આવ્યો હતો. આ પ્રસ્તાવ પણ ખૂબ ખરાબ રીતે ઉડી ગયો હતો. એનડીએને ૩૨૫ મત મળ્યા હતા જ્યારે વિપક્ષના પ્રસ્તાવને ૧૨૬ મત મળ્યા હતા. દેશમાં પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ૧૯૬૩ માં પંડિત નહેરુ સામે લાવવામાં આવ્યો હતો. આ દરખાસ્ત કોંગ્રેસના નેતા આચાર્ય કૃપલાની મારફતે રજૂ કરવામાં આવી હતી અને તે પડી ભાંગી હતી. ઈન્દિરા ગાંધી સામે ૧૨૬ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો અને તેઓ દરેક વખતે પોતાની સરકારને બચાવવામાં સફળ રહ્યા.
૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળી હતી. ભાજપ પાસે ૩૦૩ સાંસદ છે. એનડીએના ૩૩૧ સાંસદ છે જ્યારે વિપક્ષના INDIA ગઠબંધનમાં ૧૫૦ થી ઓછા સાંસદ છે. બીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ અને બીજેડીના સાંસદોને ભેગા કરવામાં આવે તો પણ આ સંખ્યા એનડીએ કરતા ઓછી છે. આવી સ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત પડવાની જ છે.