કેનેડાના પીએમના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ

આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ભારત પર આટલા ગંભીર આરોપો લગાવ્યા હોય, ભારતની ઝડપી કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. વાત જાણે એમ છે કે, કેનેડાના વડાપ્રધાનના નિવેદન બાદ ભારતે પણ કડક વલણ અપનાવ્યું હતું. વાસ્તવમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સોમવારે સંસદ પહોંચ્યા ત્યારે તેમણે ભારત વિશે કંઈક એવું કહ્યું, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ઉગ્ર નિશાન સાધ્યું. તેમણે ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ભારત પર આટલા ગંભીર આરોપો લગાવ્યા હોય. આરોપ પણ નાનો નથી પરંતુ હત્યામાં સામેલ હોવાનો છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદની અંદર કહ્યું કે, કેનેડિયન નાગરિકની પોતાની ધરતી પર હત્યામાં કોઈપણ વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ પછી કેનેડાએ ભારતના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યા અને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યો. ભારત સરકારે કેનેડાના આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આના થોડા સમય બાદ ભારતે કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢ્યા હતા અને તેમને પાંચ દિવસમાં ભારત છોડવા કહ્યું હતું.

ભારતની ઝડપી કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે જણાવ્યું હતું કે, કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે તેના એજન્ટો સંકળાયેલા હોવાનું સૂચવીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પરંતુ તેઓ ઇચ્છે છે કે, ભારત આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલે. ટ્રુડોએ પત્રકારોને કહ્યું કે, ભારત સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે આ કરી રહ્યા છીએ, અમે તેને ઉશ્કેરવા કે આગળ લઈ જવાનો વિચાર નથી કરી રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *