૭ ઓક્ટોબરના હુમલા બાદ હમાસની કેદમાં ૨૪૦ બંધકો હોવાનો દાવો, હાલની સમજૂતી અનુસાર શુક્રવારથી ૫૦ બંધકોની મુક્ત કરશે હમાસ, ઈઝરાયલ ૧૫૦ પેલેસ્ટિનીને છોડશે.
ઈઝરાયલ અને ગાઝા પટ્ટી વચ્ચે સીઝફાયર અંગે સહમતિ સધાઈ ચૂકી છે. આ સીઝફાયરના બદલામાં હમાસ દ્વારા ઈઝરાયલના બંધક બનાવાયેલા ૫૦ લોકોને મુક્ત કરવામાં આવશે. જોકે ઈઝરાયલે કેદ કરી રાખેલા ૧૫૦ પેલેસ્ટિનીઓને પણ મુક્ત કરવા પડશે અને ગાઝામાં વધુ માનવીય સહાયની મંજૂરી આપવી પડશે. જોકે સીઝફાયર અને બંધકોની મુક્તિનો મામલો શુક્રવાર સુધી ટળી ગયો હોવાની માહિતી છે.
ઈઝરાયલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નિર્દેશક તજાચી હાનેગ્બીએ કહ્યું હતું કે બંધકોની મુક્તિ પર અમે આગળ વધી રહ્યા છીએ. બંધકોને મુક્ત કરવાની શરૂઆત તમામ પક્ષો વચ્ચે મૂળ સમજૂતીના આધારે થશે. જોકે તે શુક્રવાર પહેલા શરૂ નહીં થાય. સમજૂતી અનુસાર હમાસ ચાર દિવસમાં ૫૦ બંધક મુક્ત કરશે જેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. બદલામાં ઈઝરાયલ ૩ પેલેસ્ટિની કેદીઓને મુક્ત કરશે. એટલે કે કુલ ૧૫૦ પેલેસ્ટિની આઝાદ થશે.
નેતન્યાહૂએ આપી નવી ઓફર
દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે નવી શરત રાખી દીધી છે. નેતન્યાહૂએ ઓફર કરી હતી કે હમાસ દ્વારા વધારાના ૧૦ કેદીઓને મુક્ત કરવામાં આવશે તો અમે બદલામાં એક દિવસના સીઝફાયરને અમલી બનાવીશું. એટલે કે બંધકોની મુક્તિ તબક્કાવાર આગળ વધશે તો હમાસ દ્વારા લગભગ વધુ ૨૦ બંધકોને મુક્ત કરાશે અને યુદ્ધવિરામ આગળ વધતું રહેશે. ઉલ્લેખનીય છે કે ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને ૧,૪૦૦ લોકોના જીવ લઈ લીધા હતા અને આશરે ૨૪૦ લોકોને બંધક બનાવી લીધા હતા.