વીર બાલ દિવસ’ પરની એક ફિલ્મ પણ દેશભરમાં પ્રદર્શિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દિલ્હીમાં યુવાનો દ્વારા કરવામાં આવનાર માર્ચ-પાસ્ટને પણ લીલી ઝંડી આપશે. આ દિવસની ઊજવણી કરવા માટે, સરકાર નાગરિકો, ખાસ કરીને નાના બાળકોને, સાહિબજાદાઓના અનુકરણીય સાહસની ગાથા વિશે માહિતગાર કરવા અને શિક્ષિત કરવા માટે દેશભરમાં સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. સાહિબજાદાઓની જીવન કથા અને બલિદાનની વિગતો આપતું ડિજિટલ પ્રદર્શન દેશભરની શાળાઓ અને બાળ સંભાળ સંસ્થાઓમાં પ્રદર્શિત કરવામાં આવશે. ‘વીર બાલ દિવસ’ પરની એક ફિલ્મ પણ દેશભરમાં પ્રદર્શિત કરવામાં આવશે.
આ ઉપરાંત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓ જેવી કે, ઇન્ટરેક્ટિવ ક્વિઝનું પણ આયોજન થશે, જેનું આયોજન એમવાયભારત અને માયગોવ પોર્ટલ મારફતે કરવામાં આવશે. ૯ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે ૨૬ ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.