૨૦૨૪ની ચૂંટણીમાં પ.બંગાળમાં મમતા ‘એકલા ચાલો રે..’ નીતિ અપનાવશે

ઇન્ડિયા ગઠબંધનમાં લોકસભાની બેઠકોની વહેંચણી લઇને હજુ સુધી કોઈ સમજૂતી થઇ નથી,

 

મમતાએ કહ્યું – અમે ભાજપ માટે એકલા પૂરતાં, આખા દેશમાં ઇન્ડિયા ગઠબંધન લડશે

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે ૨૮ દળો દ્વારા રચાયેલા ઇન્ડિયા ગઠબંધનમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી. ત્યારે આ સૌની વચ્ચે મમતા બેનર્જીએ સૌને ચોંકાવતા અને ગઠબંધનના સાથીઓને મોટો ઝટકો આપતાં કહ્યું છે કે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ‘એકલા ચાલો રે…’ નીતિ અપનાવશે. તે કોઈની સાથે ગઠબંધન નહીં કરે.

મુખ્યમંત્રી મમતાની મોટી જાહેરાત 

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો હતો. જેમાં તેમણે ઇન્ડિયા ગઠબંધનને ઝટકો આપતાં કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધ લડશે જોકે બંગાળમાં હું એકલી ભાજપ વિરુદ્ધ લડીશ.  ન તો અમે કોંગ્રેસ કે ન તો ડાબેરીઓ સાથે સમજૂતી કરીશું.

CAAનો મુદ્દો ઉછાળ્યો 

સીએમ મમતા બેનર્જીએ CAA મુદ્દે ભાજપને આડેહાથ લેતાં કહ્યું કે દરેક લોકસભા ચૂંટણી પહેલા મતુઆ સમુદાયના વોટને આકર્ષિત કરવા માટે આ મુદ્દો ઉછાળવામાં આવે છે અને આ ભાજપની એક ચાલ છે.  મતુઆ સમુદાયને સંબોધતાં મમતા બેનર્જીએ કહ્યું કે ૧૯૭૧ સુધી બાંગ્લાદેશથી બંગાળ આવેલા મતુઆ સમુદાયના લોકો ભારતના નાગરિકો છે. જો તે આ દેશના નાગરિક નથી તો તમને મફત રેશન, સ્વાસ્થ્ય સાથી, પાનકાર્ડ, આધારકાર્ડ કેવી રીતે મળી રહ્યા છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *