પાકિસ્તાનમાં ગત કેટલાંક અઠવાડિયાંમાં ડુંગળીના ભાવ ઘણા વધી ગયા છે. ભાવ વધતા પાકિસ્તાનના નાગરિકો માટે સૌથી વધારે ફુગાવાના સમયમાં ડુંગળી ખરીદવી મુશ્કેલ થઈ ગઈ છે.
ડુંગળીના ભાવ વધવાનું કારણ સ્થાનિક સ્તરે તેનો પુરવઠામાં કોઈ અવરોધ નથી, કારણ કે ડુંગળીના વેપાર સાથે જોડાયેલા લોકો મુજબ ખેતરથી બજાર સુધી તેને પહોંચાડવાની પ્રક્રિયા સામાન્ય છે.
તેમના મુજબ દેશમાં ડુંગળીનો ભાવ વધવાનું કારણ પાડોશી દેશ ભારત તરફથી ડુંગળીની નિકાસ પર લગાવાયેલો પ્રતિબંધ છે.
આ પ્રતિબંધ ભારતીય બજારમાં ડુંગળીના ભાવને કાબૂમાં રાખવા લગાવાયો છે.
ભારતમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવને અસર થઈ છે અને તેની કિંમત સ્થાનિક બજારમાં ગત એક મહિનાના સમયમાં કિલોએ દોઢસો રૂપિયા (ભારતીય ચલણમાં આશરે ૪૫ રૂપિયા) વધીને કેટલાંક શહેરોમાં ૨૭૦ રૂપિયા (ભારતીય ચલણમાં આશરે 80 રૂપિયા) પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
ભારતે પ્રતિબંધ કેમ લગાવ્યો?

ભારતે આઠ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો ભારતનો હેતુ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને વધતા રોકવાનો હતો. જેથી સ્થાનિકોને ઓછી કિંમતે ડુંગળી મળી રહે.
જોકે પાકિસ્તાન ભારતમાંથી ડુંગળીની આયાત નથી કરતું પણ આ પ્રતિબંધથી પાકિસ્તાનમાં પણ ડુંગળીના ભાવ પર અસર પડી છે.
ઑલ પાકિસ્તાન ફ્રૂટ્સ ઍન્ડ વેજીટેબલ એક્સપૉર્ટર્સ, ઇમ્પૉર્ટર્સ ઍન્ડ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના ચીફ પેટ્રોન અબ્દુલ વહીદ અહમદે જણાવ્યું હતું કે ભારતમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે પાકિસ્તાની નિકાસકારોને વિશ્વના વિવિધ દેશોમાંથી ડુંગળીના મોટા ઑર્ડર મળ્યા છે.
તેમણે કહ્યું કે વિદેશી બજારોમાં ડુંગળીની જરૂરિયાત હોવાથી ભારતમાંથી ડુંગળીનો પુરવઠો મળતો બંધ થયા બાદ તેઓ પાકિસ્તાન તરફ વળ્યા અને અહીંથી માલ ખરીદવાનું શરૂ કર્યું.
આ પછી પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ વધવા લાગ્યા.
ફળ અને શાકભાજીના નિકાસકાર અને વેપારી શાહજહાંએ બીબીસીને જણાવ્યું કે જ્યારે ભારતે પ્રતિબંધ લાદ્યો ત્યારે સ્થાનિક જથ્થાબંધ બજારમાં એક મણ ડુંગળીની કિંમત છ હજારથી સાડા છ હજાર રૂપિયા વચ્ચે હતી. તે વધીને એક મહિનામાં નવ હજાર રૂપિયાથી ઉપર થઈ ગઈ.
પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓના સાપ્તાહિક ભાવ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એકત્રિત કરે છે અને તેના આધારે ફુગાવાનો દર નક્કી કરાય છે.
સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટે આપેલા ડુંગળીના ભાવના ડેટા દર્શાવે છે કે જ્યારે ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે પાકિસ્તાનમાં એક કિલો ડુંગળીની સરેરાશ કિંમત ૧૫૦ રૂપિયા આસપાસ હતી.
આ કિંમત પાકિસ્તાનનાં વિવિધ શહેરોમાં અલગ-અલગ કિંમતોની સરેરાશ છે. પરંતુ એક મહિના પછી દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત ૨૨૦ રૂપિયા થઈ ગઈ, જ્યારે દેશના કેટલાક ભાગોમાં તેની કિંમત ૨૭૦ રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી પણ વધુ છે.
કરાચી ફળ અને શાકભાજી માર્કેટ ઍસોસિયેશનના પ્રમુખ ઝાહિદ અવાને કહ્યું કે હાલમાં બલૂચિસ્તાનનો પાક પૂરો થઈ ગયો છે અને સિંધમાંથી પુરવઠો આવી રહ્યો છે. તેમના મતે જો આ રીતે જ પાકિસ્તાનથી ડુંગળીની નિકાસ થતી રહેશે તો તેની કિંમત વધુ વધવાની આશંકા છે.