અમદાવાદ સિવિલ મેડિસીટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં હ્રદય અને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં બંને કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું. અંગદાનની રાજ્યવ્યાપી જાગૃકતાનું પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૧ મું અંગદાન થયું. બ્રેઇનડેડ કાલુભાઇના અંગદાનમાં હ્રદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમા લાવ્યા ત્યારે પણ સ્વાસ્થ્ય સ્થિતી અતિગંભીર હતી . જેથી તબીબોએ તુરંત જ આઇ.સી.યુ.માં શિફ્ટ કરીને ઇમરજન્સી સારવાર શરૂ કરી. આ સમગ્ર સારવારના અંતે ૪૮ કલાક બાદ તબીબો દ્વારા કાલુભાઇને બ્રેઇનડેડ જાહેર કરાયા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૯ મી જાન્યુઆરીએ જામનગર થી બ્રેઇનહેમરેજની હાલતમાં એક દર્દી આવ્યું. સ્વાસ્થ્ય સ્થિતિ અત્યંત ગંભીર હતી . જેથી દર્દીને આઇ.સી.યુ.માં દાખલ કરીને સઘન સારવાર શરૂ કરવામાં આવી. સિવિલના તબીબોએ આ દર્દીને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ અંતે ૪૮ કલાકની સઘન સારવારના અંતે આ દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયા.
બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમના કાઉન્સેલર્સ અને તબીબો દ્વારા દર્દીના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા. દર્દીના પુત્ર, તમામ ભાઇ અને દર્દીના પત્નીને જ્યારે અંગદાનની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે , “હા, અમને અંગદાનના મહત્વ વિશે ખબર છે. અંગદાન કરવાથી કોંઇક જરૂરિયાતમંદને નવજીવન મળે છે. સમગ્ર પરિવારનું દુ:ખ દુર થાય છે. માટે અમારે પણ અમારા સ્વજનનું અંગદાન કરવું છે”.
રીટ્રાઇવ થયેલા આ તમામ અંગોને સિવિલ મેડિસીટીની જ વિવિધ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા. જેમાં હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ તેમજ બંને કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.