લોકસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીનું વચન

રાહુલ ગાંધીનું વચન ‘અમારી સરકાર બનશે તો અનામત પરની ૫૦ % ની મર્યાદા દૂર કરાશે’.

લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યાં છે. દેશના તમામ મોટા રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગ્યા છે. ચૂંટણીમાં લોકોને રીઝવવા પક્ષોએ વચનો આપવાનું શરૂ કરી દીધું છે. એક તરફ વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ અભૂતપૂર્વ જીત સાથે ૩૭૦ બેઠકો મેળવશે અને એનડીએ ગઠબંધન આગામી સામાન્ય ચૂંટણીમાં ૪૦૦ નો આંકડો પાર કરશે. બીજી તરફ, વાયનાડથી કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ પણ જાહેરાત કરી છે કે જો વિપક્ષી ગઠબંધન INDIA ભારતમાં સત્તામાં આવશે તો દેશવ્યાપી જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે અને અનામત પરની ૫૦ % ની મર્યાદા પણ દૂર કરવામાં આવશે.

રાંચીની જનસભામાં રાહુલ ગાંધીએ આક્ષેપ પણ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) – કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે રાજ્યના મુખ્યપ્રધાન આદિવાસી હતા. ગાંધીએ શહીદ મેદાન ખાતે આયોજિત રેલીમાં કહ્યું, “હું ભાજપ- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાવતરાને રોકવા અને ગરીબોની સરકારને બચાવવા માટે ગઠબંધનના તમામ ધારાસભ્યો અને ચંપાઈ સોરેન જીને અભિનંદન આપવા માંગુ છું.”

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, “ભારત સામે આ સૌથી મોટો પ્રશ્ન છે. અમારું પહેલું પગલું દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનું રહેશે. હાલની જોગવાઈઓ હેઠળ ૫૦ % થી વધુ અનામત આપી શકાય નહીં. રાહુલ ગાંધીએ ચૂંટણી માટે બ્રમાસ્ત્ર સમાન વચન આપ્યું હતું કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA)ની સરકાર આરક્ષણ પરની ૫૦ % ની મર્યાદાને ‘દૂર’ કરશે.

ગાંધીએ કહ્યું, “દલિતો અને આદિવાસીઓના આરક્ષણમાં કોઈ કાપ નહીં આવે. હું તમને ખાતરી આપું છું કે સમાજના પછાત વર્ગોને તેમના અધિકારો મળશે. સામાજિક અને આર્થિક અન્યાય અમારા સૌથી મોટા મુદ્દા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *