
કાકાથી નારાજ થઈ એનસીપી પાર્ટીના બે ભાગ પાડી દેનાર અજિત પવારને ચૂંટણી પંચે અસલી એનસીપી જાહેર કરતા જ, શરદ પવાર ચોંકી ગયા. ચૂંટણી પંચે શરદ પવારની પાર્ટીના નામ અને ચિન્હનો ધ્વજ અજિત પવારના હવાલે કરી દીધો. આ મામલો સામે આવતા જ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું હતુ. જો કે શરદ પવાર જૂથે કહ્યું હતું કે, તેઓ આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે, પરંતુ હવે અજિત પવારે તે પહેલા જ વધુ એક પગલું ભર્યું છે. કાકા સુપ્રીમ કોર્ટ પહોંચે તે પહેલા જઅજિત પવારના જૂથે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે.
અજિત પવાર જૂથ તરફથી એવી માંગ કરવામાં આવી છે કે, જો કોર્ટ આ મામલે વિપક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી કોઈપણ અરજી પર સુનાવણી કરે તો, અજિત પવારના જૂથને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે, NCP ના બે જૂથો વચ્ચે છેલ્લા 6 મહિનાથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ચૂંટણી પંચે હવે એનસીપી પર સમાધાન કરી લીધું છે.
હવે એનસીપીનું નામ, ચૂંટણી ચિન્હ, ઘડિયાળ અને ધ્વજ બધું અજિત પવારને આપી દેવામાં આવ્યું છે. આ નિર્ણય પર શરદ પવારના જૂથે નારાજગી વ્યક્ત કરી હતી. મહાવિકાસ અઘાડી, જૂથના ઉદ્ધવ શિવસેના અને કોંગ્રેસે પણ ચૂંટણી પંચના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં જવાની પણ જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્ર રાજકારણ – શું છે અજિત પવારની માંગ?
હવે અજિત પવારે એક કેવિએટ દ્વારા માંગ કરી છે કે, જો શરદ પવાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી દાખલ કરે છે તો, તેના પર એકપક્ષીય નિર્ણય ન આપવો જોઈએ. આ સાથે તેમના મંતવ્યો પણ સાંભળવા જોઈએ. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચના નિર્ણય બાદ મુંબઈમાં NCP ઓફિસની બહાર કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં શરદ પવાર, સુપ્રિયા સુલે અને રોહિત પવારની તસવીરો છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘ચિહ્ન તુમ્હારા, બાપ હમારા’.
મહારાષ્ટ્ર રાજકારણ – અજિત પવાર એનડીએમાં જોડાયા હતા
તમને જણાવી દઈએ કે, અજિત પવાર એનસીપીમાં તેમના કેટલાક ધારાસભ્યોના સમર્થનથી બીજેપીના એનડીએ ગઠબંધનમાં જોડાયા હતા. આ માટે તેમને ઈનામ પણ મળ્યું અને દેવેન્દ્ર ફડણવીસની સમકક્ષ ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારથી, અજિત પવાર પ્રસંગોપાત પોતાના કાકા શરદ પવાર પર રાજકીય હુમલાઓ કરવાનું ચાલુ રાખે છે. હવે તેમની નજર શરદ પવારની પરંપરાગત બેઠક બારામતી પર છે, જ્યાંથી NCP ના સુપ્રિયા સુલે હાલમાં સાંસદ છે. અજિત પવાર હવે એ સીટ પર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.