લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધન સાથી ભાજપ, અજીત પવાર અને એકનાથ શિંદે ગ્રુપ વચ્ચે વગર વિવાદે સીટ વહેંચણી શક્ય બની ગઈ છે,અમિત શાહની બેઠક બાદ બધુ લગભગ નક્કી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી હતી. શાહ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મળ્યા હતા. આ દરમિયાન બીજેપી નેતા અને રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.
અજીત અને શિંદે જૂથે કેટલી સીટોની કરી હતી માંગ?
અમિત શાહ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે થોડા નરમ દેખાયા. પ્રથમ ૨૨ સીટોની માંગણી કરતા શિવસેનાએ ૧૩ લોકસભા સીટો પર પોતાના વિચારો રજૂ કર્યો. અજિત પવારે પોતાની માંગમાં બારામતી સહિત ૮ સીટોની માંગ કરી હતી. તેના પર અમિત શાહે એકનાથ શિંદેની શિવસેનાને ૧૦ સીટોની ઓફર કરી હતી. એ પણ કહ્યું કે, અજિત પવારની પાર્ટીને માત્ર ચાર સીટો આપવામાં આવશે.
અજિત પવારને જે ચાર બેઠકો મળશે, તેમાંથી એક બેઠક બારામતી અને બીજી તગઢ ચિરોલીની હશે. બારામતી એ બેઠક છે, જ્યાંથી અજિત પવાર તેમની પત્ની સુનેત્રાને મેદાનમાં ઉતારવા માંગે છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બારામતી બેઠક પરથી વર્તમાન સાંસદ છે. ગઢ ચિરોલીથી અજિત પવાર રાજ્ય સરકારમાં મંત્રી ધરમરાવ બાબા આત્રામને મેદાનમાં ઉતારવા માંગે છે.
અમિત શાહે શું ઓફર આપી? વિવાદ વગર સીટ વહેંચણી થઈ
ભાજપ ૪૮ માંથી ૩૨ બેઠકો પર પોતે ચૂંટણી લડવા માંગે છે અને બાકીની બેઠકો ગઠબંધન ભાગીદારોને આપવી જોઈએ. અમિત શાહે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતની શક્યતાઓ વધારે છે. તેથી હવે ભાજપને વધુ બેઠકો આપવી જોઈએ. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેના સહયોગી સાથીદારો માટે વધુ બેઠકો છોડશે. આ ડીલ સાથે અમિત શાહે પણ મોટું વચન આપ્યું હતું, અને સીટ વહેંચણી વગર વિવાદે શક્ય બની ગઈ.
ભાજપ પરભણી, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ અને રત્નાગીરી સિંધુદુર્ગની બેઠકોમાં પણ ફેરબદલ ઈચ્છે છે. મુંબઈની વાત કરીએ તો, એકનાથ શિંદેની પાર્ટીએ બે સીટોની માંગણી કરી છે, પરંતુ ભાજપ માત્ર થાણે સીટ આપવા માંગે છે. આ સીટ શિવસેનાનો ગઢ રહી છે. તેમજ આ બેઠક પર એકનાથ શિંદેનો ઘણો પ્રભાવ રહ્યો છે. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં અમિત શાહે ગઠબંધનના ભાગીદારોને સ્પષ્ટ કહ્યું કે, તેઓ હવે ઓછી બેઠકો લે. જેની ભરપાઈ વિધાનસભાની ચૂંટણીમાં થશે. તમને જણાવી દઈએ કે, અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત સીટ વહેંચણીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.