લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ જેટલો જ સમય બાકી છે ત્યારે રાજકીય પક્ષો આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે હવે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલે કોલકાતામાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલએ લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીના નેતા ડેરેક ઓ’બ્રાયન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. તૃણમૂલ ના આ ચૂંટણી ઢંઢેરાને દીદીનું શપથપત્ર નામ આપવામાં આવ્યું છે. ટીએમસીના ચૂંટણી ઢંઢેરામાં સીએએ અને એનઆરસી નાબૂદ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાશન સહિત કલ્યાણકારી યોજનાઓનું વચન આપવામાં આવ્યું છે. બીપીએલ પરિવારોને એક વર્ષમાં ૧૦ સિલિન્ડર આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.
પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે, ‘અમે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે અમારો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ખુશ છીએ. દીદીના શપથ સાથે અમે દરેક ભારતીયને રોજગાર, બધાને ઘર, મફત એલપીજી સિલિન્ડર, ખેડૂતોને MSP, SC-ST અને OBC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી આપવાના શપથ લઈએ છીએ. અમે સાથે મળીને ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું.